એમએની પરીક્ષાનો વિવાદ બન્યો વધુ પેચીદો: એક જ કલાસના વિદ્યાર્થીઓ વેચાયા 2 ફાંટામાં


યુનિવર્સિટીના એમ.એ.ઇકોનોમિક્સ વિભાગની પરીક્ષાનો મુદ્દોના નિરાકરણ બદલે વધુ પેચીદો બની ગયો છે. કુલપતિ દ્વારા અપાયેલી ખાતરી અનુસાર ભોગગ્રસ્ત વિદ્યાર્થીઓ અને એબીવીપીના હોદ્દેદારો મંગળવારે કચેરીમાં પહોંચ્યા હતા પણ ઇકો.ના વર્ગમાં જે વિદ્યાર્થીઓ હાજર રહેતા હતા તેઓએ ગેરહાજર છાત્રોના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવતા મામલો ઘેરાઈ ગયો હતો.
યુજીસીના નિયમ મુજબ વર્ગમાં વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી જોઈએ પણ ઇકો.ના વર્ગમાં 17 વિદ્યાર્થીઓની 75 ટકા હાજરી ન થતા તેઓને ઇન્ટરનલ પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા હતા નહિ અને દિવાળી બાદ યુનિવર્સિટીની પરીક્ષામાં પણ આ છાત્રોને બેસવા દેવામાં નહિ આવે તેવું જણાવવામાં આવ્યું છે.જેથી એબીવીપીએ માંગણી કરી છે કે,તેઓને ફરી પરીક્ષાની તક આપી.યુનિવર્સિટીની પરીક્ષામાં બેસવા દેવામાં આવે જેથી વર્ષ ન બગડે તથા આ છાત્રો ભૌગોલિક,આર્થિક અને સામાજિક કારણોથી હાજર ન રહ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે.
બીજી બાજુ જો આ 17 ગેરહાજર છાત્રોને પરીક્ષામાં બેસવાની તક મળશે તો અમે બીજા સેમેસ્ટરમાં હાજરી નહિ આપીએ અને આ રીતે જ પરીક્ષા આપશુ તેવી ધમકી સાથે 33 છાત્ર દ્વારા સહી કરી કુલપતિને આવેદન આપવામાં આવ્યું હતું. જેથી સતાધીશો પણ મુંઝવણમાં મુકાયા હતા. જે પછી એબીવીપી દ્વારા અર્થશાસ્ત્ર વિભાગમાં શરુઆતથી અત્યાર સુધી વિદ્યાર્થીઓની અપૂરતી હાજરીના કારણે પરીક્ષામાં બેસવા દેવામાં ન આવ્યા હોય તેની યાદી, સ્ટાફ દ્વારા લેવાયેલા લેકચરની માહિતી અને હાજરીપત્રક સહિતના મુદાઓ પર માહિતી મંગવામાં આવી છે. આ દરમ્યાન સમગ્ર મામલે વિભાગના વડા ડો.કલ્પના સતીજાનો પ્રતિભાવ જાણવા માટે કોલ કરતા તેમણે ફોન રિસિવ કર્યો હતો નહિ.