અમદાવાદમાં પ્રેરણાતીર્થ દેરાસર નજીક ફ્લેટમાં આગ લાગતા દોડધામ મચી, 7 લોકોને બચાવાયા

copy image

જોધપુરના પ્રેરણા તીર્થ દેરાસર નજીક આવેલા અભિજ્યોત રેસિડેન્સીના ત્રીજા માળના એક ફ્લેટમાં મોડી રાત્રે અચાનક આગ લાગી ગઈ હતી. જેથી સ્થાનિક રહીશોમાં દોડભાગ મચી ગઈ હતી. જોત જોતામાં 3 મકાન સુધી આગ ફેલાઈ જતાં 7 માણસો ફસાઈ ગયા હતા. બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડના અધિકારીઓ અને જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ કાબૂમાં લઈ ફસાઈ ગયેલા 7 જણાને હેમખેમ બહાર કાઢ્યા હતા.

20 મિનિટના રેસ્ક્યુ ઓપરેશન પછી આગમાં ફસાયેલા સાતેય વ્યક્તિઓને બચાવી લેવાયા હતા. સલામતીના ભાગ રૂપે આખી બિલ્ડિંગ ખાલી કરી દેવામાં આવી હતી. ડિવિઝન ફાયર ઓફિસર ઓમ જાડેજાએ જણાવ્યું કે, દીવાના લીધે અથવા તો શોર્ટસર્કિટના લીધે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે તેમ છતાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે એફએસએલની મદદ લેવાઈ હતી. આગ ગેસ સિલિન્ડર કે એલપીજી લાઈન સુધી પહોંચી ન હોવાથી જલદી કાબૂમાં આવી હતી.