ભુજ, અબડાસા, અને માંડવી મુન્દ્રા બેઠક ઉપર ભાજપમાં સક્ષમ મહિલાઓની દાવેદારી બનશે.
ભુજ : ત્રણેક દાયકા બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ત્રીપાંખીયો જંગ છેડાવાનો છે ત્યારે ભાજપે દિવાળી બાદ તરત જ ઉમેદવાર પસંદગી માટે દરેક જિલ્લામાં સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. કચ્છની કુલ છ બેઠાકોમાંથી પાંચ બેઠકો પર કબ્જો ધરાવનાર ભારતીય જનતા પાર્ટી માટે ૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી એક મોટો પડકાર બની રહી છે. એકતરફ અબડાસા બેઠક પર કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી પેટા ચૂંટણીમાં ભાજપમાંથી વિજયી બનેલા પી.એમ.જાડેજા અને માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા વચ્ચે કથિત વિવાદ સમવાનો નામ નથી રહ્યું ત્યારે બીજી તરફ સેન્સ પ્રક્રિયા દરમ્યાન ભુજ તાલુકા ભાજપની વિવિધ પાંખો દ્વારા સ્થાનિક ઉમેદવારોની સૂચક માંગ અને વયમર્યાદાને લીધે વર્તમાન ધારાસભ્ય ડૉ. નીમાબેન આચાર્ય માટે દાવેદારી કપરા ચઢાણ સમાન બની રહી છે. તો માંડવી-મુન્દ્રા બેઠક પર પણ ગઢવી સમાજ દ્વારા તેઓના સમાજના દાવેદારને જ ટિકિટ આપવામાં આવે તેવી રજુઆત કરાતાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા મુશ્કેલ બની હતી. પરંતુ આ ત્રણેય બેઠકો ઉપર સક્ષમ મહિલાઓની દાવેદારી ગેમ ચેન્જર બની શકે તેમ છે.

અબડાસા વિધાનસભા બેઠકના દાવેદાર ચેતનાબા જાડેજા
છ બેઠાકોમાંથી કોઈ એક બેઠક પર ભાજપ ક્ષત્રીય ઉમેદવારને ટિકિટ આપી સમાજની નારાજગીનો ભોગ ન બનવાનું વિચારે તો પણ સમાજના વર્તમાન બે ધારાસભ્યોમાંથી કોઈ એકની નારાજગી પાર્ટી માટે નુકશાન પહોંચાડે તેવી શક્યતાઓને જોતા ભાજપ અબડાસા બેઠક માટે ચેતનાબા જાડેજા ઉપર પસંદગી ઉતારી શકે છે. સાલસ સ્વભાવના ચેતનાબા છેલ્લા એક દાયકાથી ભાજપ સાથે જોડાયેલા છે સાથે કચ્છ જિલ્લા ક્ષત્રિય મહિલા સભાના પ્રમુખ તરીકે સમાજમાં ખાસ કરીને એજ્યુકેશન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી નોંધનીય છે. તેમના નિર્વિવાદીત સામાજિક અને રાજકીય સફરને જોતા તેઓ અબડાસા વિધાનસભા માટે એક પ્રબળ દાવેદાર બની રહેશે અને બન્ને વર્તમાન ધારાસભ્યો વચ્ચે ચાલી રહેલા કોલ્ડવોરનો પણ અંત આણી શકવાની સંભાવનાઓ હાલ પક્ષ સેવી રહ્યું છે.

માંડવી-મુન્દ્રા બેઠકના દાવેદાર છાયાબેન ગઢવી
ગઢવી સમાજની બહુમતી ધરાવતી માંડવી-મુન્દ્રા બેઠક માટે ગઢવી સમાજના સ્થાનિક અગ્રણીને ટિકિટ મળે તેવી રજુઆત જોતા વિરેન્દ્રસિંહ જાડેજાને રિપીટ ન કરાય તેવી શક્યતાઓ પણ જણાઈ રહી છે તદુપરાંત આ બેઠક પર ભાજપ સાથે બે દાયકા જુનો ઘરોબો ધરાવતા છાયાબેન વિશ્રામ ગઢવીએ દાવેદારી કરતાં પક્ષના રાજકારણમાં ગરમાવો ફેલાયો છે. છાયાબેન મુન્દ્રા તાલુકા પંચાયતના મહામંત્રી, જિલ્લા પંચાયતમાં શિક્ષણ સમિતિના ચેરમેન, કચ્છ જિલ્લા મહિલા મોરચા ભાજપના પ્રમુખ જેવા મહત્વના પદભાર સંભાળી ચુક્યા છે તેમજ તેમનો પરિવાર હંમેશા સામાજિક અને રાજકીય ક્ષેત્રે સેવારત રહ્યો છે. પીઢ રાજકીય દાવેદાર તરીકે ભાજપ છાયાબેન પર પસંદગી ઉતારે તેવી લોકોની માંગ સાથે સમાજની લાગણી પણ મતવિસ્તારમાં જોવાઇ રહી છે.

ભુજ વિધાનસભાના દાવેદાર કૌશલ્યાબેન માધાપરિયા
ભાજપનો ગઢ ગણાતી ભુજ વિધાનસભા બેઠક ઉપર આ વખતે મોટી નવાજુની થવાના એંધાણ વિશેષજ્ઞો જોઈ રહ્યા છે. વર્તમાન ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષા ડૉ. નીમાબેન આચાર્ય પ્રત્યે લોકોમાં ભારે અસંતોષ, તેમની વય, ભાજપના જ લોકોની સ્થાનિક દાવેદારને ટિકિટ આપવાની માંગ અને આમ આદમી પાર્ટી દ્વારા બહોળી મત સંખ્યા ધરાવતા સમાજના લેવા પટેલ ઉમેદવાર રાજેશભાઇ પિંડોરીયાની ઉમેદવાર તરીકેની જાહેરાતે ભાજપની ઊંઘ હરામ કરી દીધી છે. આ સમીકરણો જોતા ભાજપ ભુજમાં લેવા પટેલ સમાજના કોઈ મહિલા ઉમેદવારને પસંદ કરી શકે છે. આજ મોડી સાંજ સુધી ચાલુ રહેલી સેન્સ પ્રક્રિયા દરમ્યાન નીમાબેનની ગેરહાજરી અને જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયાની દાવેદારી નોંધપાત્ર બની હતી. વિધાનસભામાં ક્યારેય લેવા પટેલ સમાજને તક આપવામાં આવી ન હોવાથી સમાજમાં પ્રવતેલી નારાજગીથી ‘આપ’ના ઉમેદવાર રાજેશ પિંડોરીયાને સીધો ફાયદો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા ઈચ્છે તો કૌશલ્યાબેન માધાપરીયા શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.
‘ગાંધીધામ બેઠક પર ભુજના વતનીની ઉમેદવારી પ્રબળ
ગાંધીધામની આરક્ષિત બેઠક માટે અધધ.. ૪૮ લોકોએ દાવેદારી નોંધાવી હતી. જેમાં કચ્છ અને ગુજરાત પ્રદેશ ભાજપના મહત્વના હોદ્દેદાર નેતાના ખૂબ નિકટના ભુજવાસી દાવેદાર પર ભાજપ ઉમેદવારની મહોર મારી શકે છે.
