પલાસવાડા નજીક પગપાળા જતાં વૃદ્ધ વાહનની અડફેટે આવતા મોત

ડભોઇ વડોદરા માર્ગ પર પલસવાડા ગામ નજીક આવેલ હનુમાનજી મંદિર સામે સવારે પગપાળા ગામ તરફ જતા વૃદ્ધને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોચી હતી. સારવાર માટે સયાજી હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે મૃત ઘોષિત કર્યા હતા.
સાગરભાઈ શશીકાંતભાઈ દરજી રહે. સોમાતળાવ, વડોદરાની ફરિયાદમાં જણાવ્યા મુજબ પલાળવાડા ગામમાં રહેતા તેઓના સંબંધી જીતેન્દ્રભાઈ સોમાભાઈ પટેલ ઉં.વ. 61 વહેલી સવારે ગામ પાસે આવેલ હનુમાનજી મંદિર તરફથી પગપાળા ગામ તરફ આવી રહ્યા હતા.
ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેઓને ઠોકર મારતાં માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી. વૃદ્ધને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જતા ફરજ પરના ડોકટરે મૃત ઘોષિત કર્યા હતા. પોલીસે અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલક સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.