ઉનાવા પાસે રોડ ક્રોસ કરતા પદયાત્રી વાહનની અડફેટે આવી જતાં મોત

લાંઘણજ ગામેથી સંઘમાં ઊંઝા ઉમિયા માતાજીના મંદિરે ચાલતા જઈ રહેલા પદયાત્રી આધેડનું ઉનાવા પાસે વાહનની અડફેટે આવી જતાં સારવાર મળે તે પૂર્વે જ કરુણ મોત થયું હતું.આ બનાવથી શોક છવાઈ ગયો હતો. આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને પકડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર મહેસાણા તાલુકાના લાંઘણજ ગામમાં સરદાર પટેલ ચોકમાં રહેતા દિલીપકુમાર પટેલ અને તેમના પિતા પુંજીરામભાઈ પટેલ ગામમાંથી ઊંઝા ઉમિયા માતાના મંદિરે નીકળેલા સંઘમાં પગપાળા ઊંઝા જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન ભાન્ડુ બાદ સંઘનો આગળનો ઉતારો ત્રિભુવન ફાર્મમાં હોવાથી દિલીપભાઈ અને તેમના પિતા તે ઉતારાએ જવા માટે ઉનાવાથી જેતલવાસણા તરફ જતા હાઇવે પર નીકળ્યા હતા ત્યારે તેમના પિતા રોડ ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહને તેમના પિતાને ઠોકર મારતા તેઓ રોડની વચ્ચે પછડાયા અને માથામાં ઉપરાંત બરડાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.
અકસ્માતને લઈ સંઘના માણસો દોડી આવ્યા હતા. બીજી બાજુ અકસ્માત સર્જનાર વાહન ચાલક વાહન લઈને નાસી ગયો હતો. બનાવની જાણ થતાં આવેલી 108 ની ટીમે પુંજીરામભાઈ પટેલને મૃત ઘોષિત કર્યા હતા પોલીસે દિલીપભાઈ પટેલની ફરિયાદને આધારે ગુનો દાખલ કરી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.