કોટડાથી બિટ્ટા આવતા રસ્તામાં ઘુંટણ સરખા ખાડા

copy image

અબડાસા તાલુકાના બિટ્ટાથી કોટડા માર્ગે ઠેરઠેર ઘુંટણસમા ખાડાના પગલે વાહન ચાલકોને મુશ્કેલીનો કરવો પડી રહી છે તો બીજી તરફ લખપત તાલુકાના કોટેશ્વરથી કૈયારી વચ્ચેના માર્ગે 1 કિ.મી. રસ્તો ન બનાવી અધુરો મૂકી દેવાતાં રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

કોટડાથી બિટ્ટા તરફનો માર્ગ નવરાત્રિ દરમ્યાન હાજીપીરથી જખૌ નમકનું પરિવહન કરતા ભારેખમ વાહનોના કારણે બેસી ગયો છે અને આ રસ્તામાં ઠેરઠેર ગોઠણસમા ખાડા પડી ગયા છે, જેના કારણે અહીંથી પસાર થતા વાહનોના સ્પેરપાર્ટ જ તૂટી જાય છે. અગાઉ ભારે વરસાદ બાદ આ રસ્તામાં પડેલા ખાડામાં ડામર નાખીને થીંગડા લગાવાયા હતા પરંતુ ત્યારબાદ ભારે વાહનોની અવર-જવરથી ફરી મસમોટા ખાડા પડી ગયા છે. સમારકામ વખતે નબળી ગુણવત્તાના માલના પગલે ટુંક સમયમાં જ પોલ પાધરી થઇ ગઇ છે.

તાત્કાલિક ધોરણે આ માર્ગે પડેલા ખાડામાં ખોદકામ કરીને ગુણવત્તાયુક્ત માલ વાપરીને સમારકામ કરાય તેવી માંગ લોકો દ્વારા ઉઠી રહી છે. ઉપરાંત લખપત તાલુકાના યાત્રાધામ કોટેશ્વરથી કૈયારીથી ત્રણ રસ્તા સુધીનો માર્ગ બનાવવામાં આવ્યો છે પરંતુ વચ્ચે ખાડીનો 1 કિ.મી. માર્ગ ગમે તે કારણોસર ન બનાવી અધુરો મૂકી દેવાયો છે. દિવાળીના સપરમા દિવસોએ અહીં મોટી સંખ્યામાં ઉમટી પડેલા પ્રવાસીઓને આ 1 કિ.મી. ના માર્ગને પાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અમુક સહેલાણીઓ તો રોષ પૂર્વક જણાવી રહ્યા છે કે, ડામર રોડ ભલેને ન બનાવ્યો પરંતુ અહીં માત્ર માટી પાથરી નાખી હોત તો પણ વાહન ચલાવવામાં મુશ્કેલી ન પડી હોત પરંતુ તે પણ તંત્રને ન સુજ્યું તેવું લાગી રહ્યું છે.