ગોંડલ-આટકોટ હાઇવે બાવળોથી ઢંકાઇ ગયા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ફેલાયો

ગોંડલ આટકોટ રોડ પર વધી ગયેલા બાવળોના ઝુંડના લીધે વાહન ચાલકોમાં અકસ્માતનો ભય ઊભો થયો છે. અડધો અડધ રોડ પર બાવળોએ ફેલાવતાં ગોળાઇ પર રસ્તો જ દેખાતો બંધ થયો છે. દિવાળીના દિવસે જ લકઝરી બસના ક્લિનરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આવી અનેક ઘટનાઓ આવા બાવળોને લીધે બની ચૂકી છે.

આથી ગોંડલ જસદણ તાલુકાના ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે આ બાવળોને હટાવવામાં આવે. આટકોટ ગામથી ગોંડલ જવા માટેનો રોડ આવેલો છે. પરંતુ આ રોડ ઉપર જાણે કંઈ ધ્યાન જ ન આપવામાં આવતું હોય તેવો ઘાટ ઊભો છે. જેના લીધે મોટાદડવા ગામ પાસે આ રોડની બંને બાજુએ બાવળો ઊગી નીકળ્યાં હોવાથી વાહનચાલકોમાં રોષની લાગણી છવાઈ છે. તો તંત્ર દ્વારા આ રોડ ઉપરથી બાવળો તાત્કાલિક હટાવાય તેવી ઉગ્ર માંગ વાહનચાલકો અને ગ્રામ્યવિસ્તારના લોકોમાં ઉઠવા પામી છે.

આ મામલે વાહનચાલકોએ જણાવ્યું કે આ બાવળોના લીધે વાહન લઇને આ રોડ ઉપરથી પસાર થતા પણ કાંટા વાગવાનો ભય રહે અને રોડનાં વળાંકમાં આગળનાં રસ્તાના વાહન પણ ન દેખાતા હોવાના કારણે અકસ્માત થવાની પણ સંભાવના રહેલ છે. તેથી વહેલી તકે આ બાવળ દૂર કરવા માંગ ઉઠી છે.