વસ્ત્રાપુરમાં બાઇક અને એક્ટિવા વચ્ચે અકસ્માત: 2નાં મોત, 2 ઘાયલ

યુવક તેની બહેન અને ભાઈને એક્ટિવા પર બેસાડીને વસ્ત્રાપુર રેલવે ફાટક પાસેથી પસાર થતો હતો તે દરમિયાન બેફામ બનેલા બાઈકચાલકે એક્ટિવાને ઠોકર મારી હતી, જેમાં એક્ટિવાચાલકનું મૃત્યુ નીપજયું જ્યારે તેના બહેન અને ભાઈને ગંભીર ઈજાઓ પહોચી હતી. આ અકસ્માતમાં બાઈકચાલકનું પણ મૃત્યુ થયું હતું. આ અંગે એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

વેજલપુરમાં રહેતા 20 વર્ષીય રાજુ પુરબિયા તેની બહેન ટીના (ઉં. 16) અને ભાઈ વનરાજ (ઉં. 12)ને એક્ટિવા પર જમાલપુરથી વેજલપુર જતો હતો. આ દરમિયાન વસ્ત્રાપુર રેલ્વે ફાટક પાસે પહોંચ્યો, ત્યારે એક બાઈકચાલકે પૂરપાટે ઠોકર મારી હતી, જેથી રાજુનું એક્ટિવા સ્લીપ થઈ જતા ત્રણેય પટકાયા હતા અને ગંભીર ઈજાઓ પહોચી હતી.

બીજી તરફ બાઈકચાલકને પણ માથાના ભાગમાં ઈજા પહોચતા સ્થાનિકોએ રાજુ, ટીના, વનરાજ અને બાઈકચાલકને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા. જો કે સારવાર દરમિયાન રાજુનું મૃત્યુ નીપજ્યું હતું, તો એક્ટિવાને ઠોકર મારનાર બાઈકચાલકનું પણ મૃત્યુ થયું હતું. એન ડિવિઝન ટ્રાફિક પોલીસને આ બનાવની જાણ થતા પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો. તપાસ કરતા મૃતક બાઈકચાલકનું નામ નિલેશ ઠાકોર અને વેજલપુર મધ્યે રહેતો હોવાનું જાણવા મળ્યુ હતુ.