ગાંધીધામના ખન્ના માર્કેટમાં 9 શખ્સએ વેપારી પર કુહાડી, પાઈપથી હુમલો કર્યો

ગાંધીધામના ખન્ના માર્કેટમાં 9 શખ્સોએ કુહાડી, લોખંડના પાઈપ વડે સાડીની દુકાનમાં ધસી જઈને વેપારીને ઢોર માર મારી દુકાનમાં ધાર્મિક તસવીર સહિતના સ્થળોએ તોડફોડ કરી હતી. પોલીસે રમખાણ સહિતની કલમો તળે ગુનો નોંધીને 5 સામે નામજોગ તો અન્ય બે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધ્યો હતો. જેમાંથી 4ની અટકાત કરી લેવામાં આવી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું. સોમવારના સવારે 10:30 વાગ્યે ભરબજાર બનેલી ચોંકાવનારી ઘટનાએ ઘણા સવાલ ઉભા કર્યા છે.    એ ડિવિઝન પોલીસ મથકે ખન્ના માર્કેટ પાસે 400 ક્વાટર એરીયામાં લક્ષ્મી સાડીની દુકાન ચલાવતા મણીલાલ શીવલાલ બીંદએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે આરોપીઓ સાથે અગાઉ વાહનને સાઈડમાં પાર્ક કરવાનું કહેતા બોલાચાલી થઈ હતી. જેનું મનદુખ રાખીને આરોપીઓ અનવર અલીમામદ પઠાણ, સિંકદર શાલેમામદ ચાવડા, શાહરુખ અનવર પઠાણ, ઈસ્માઈલ નુરમામદ શેખ, ફિરોજ સલીમ પઠાણ (રહે. તમામ ગાંધીધામ) અને અન્ય 4 અજાણ્યા ઈસમોએ 16 જાન્યુઆરીના સવારે 10:30 વાગ્યાના અરસામાં કાવતરુ રચીને કુહાડી અને લોખંડના પાઈપ સાથે ધસી આવીને સાડીની દુકાનમાં આવી કુહાડી મારવાનો પ્રયાસ કર્યો હતો, જેનો પ્રતિકાર કરતા ફરિયાદીએ કુહાડી પકડી લેતા અન્ય આરોપીઓએ લોખંડના પાઈપથી માર મારવાની શરૂઆત કરી હતી. જેથી ફરિયાદી પડી જતા તેને પાઈપ વડે ઢોર માર મારીને તોડફોડ કરી અને ધાર્મિક છબીને તોડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે રમખાણ કરવા, ગુનાહિત કાવતરુ રચવા સહિતની કલમો તળે ગુનો નોંધીને ચાર આરોપીઓને પકડી પાડ્યા હતા.