રાજ્ય સરકારે ફાળવેલી જમીન પર બનેલી “કલાપૂર્ણસૂરિ કરૂણાધામ” હોસ્પિટલે ૧૦ વર્ષમાં કચ્છના ૪૩ હજારથી વધુ પશુઓની સારવાર કરી

કચ્છમાં મનુષ્યની સંખ્યા કરતા પશુઓની સંખ્યા વધુ છે. ત્યારે બિમારીમાં તેઓની યોગ્ય રીતે સુશ્રુષા થઇ શકે તેની તાતી જરૂરીયાત હતી. ૧૯૯૨માં ભુજના ૭ ટીનેજર યુવકોએ પોતાની પોકેટ મનીમાંથી રખડતા પશુઓને નિરણ અને પ્રાથમિક સારવાર આપવાની કરેલી શરૂઆત ૨૦૧૩માં તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આ યુવકોને જમીન ફાળવણી કરાતા આખરે આધુનિક સુવિધાથી સજ્જ કચ્છના પશુઓ માટે અલાયદી હોસ્પિટલ તૈયાર થઇ. આ કલાપૂર્ણસૂરિ કરૂણાધામ હોસ્પિટલનું લોકાર્પણ કરવા ભુજ ખાતે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ખાસ પર્ધાયા હતા. આ હોસ્પિટલે ૨૦૧૩થી ૨૦૨૩ સુધી ૪૩ હજારથી વધુ પશુઓની સારવાર કરીને સેવાનો યજ્ઞ પ્રજવલિત રાખ્યો છે.
આ અંગે શ્રી સુપાશ્ર્વ જૈન સેવા મંડળ-ભુજ સંચાલિત “કલાપૂર્ણસૂરિ કરૂણાધામ” હોસ્પિટલના પ્રમુખશ્રી કૌશલ મહેતા જણાવે છે કે, નાના પાયે શરૂ કરેલ સેવાયજ્ઞમાં રખડતા પશુઓની પીડા જાણવા મળતા તેની સેવા થઇ શકે તેવી હોસ્પિટલ શરૂ કરવાની નેમ હતી. પરંતુ જમીનનો પ્રશ્ન હતો જે અંગે તત્કાલીન ધારાસભ્યો મારફતે રાજય સરકારને લાગણી પહોંચાડતા તત્કાલીન મુખ્યમંત્રીશ્રી તથા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ કચ્છના પશુઓની પીડાને સમજીને તત્કાલ જમીન ફાળવણી કરી આપતા જિલ્લાના લાખો પશુઓ માટે એક આરોગ્યધામ ઉભું કરવાનું સપનું સાકાર થયું. જેમાં મનુષ્યની હોસ્પિટલની જેમ જ એક જ પરિસરમાં નાના-મોટા પશુઓ માટે ઓપરેશન થિયેટર, લેબોરેટરી, સોનાગ્રાફી, એક્સ-રે, ઓપીડી, મેડીકલ સ્ટોર સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ છે. રાજય સરકાર દ્વારા વર્તમાન સમયમાં સબસીડી તથા જરૂરી સેવા-સાધન સહાય માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. જે બદલ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો આભાર વ્યકત કરૂ છું.
વર્ષ ૨૦૧૩માં આ પશુ આરોગ્ય ધામની સ્થાપના થઇ ત્યારથી વર્ષ ૨૦૨૩ સુધી ૪૩ હજારથી વધુ પશુઓની સારવાર કરાઇ છે. સામાન્ય રીતે કચ્છમાં શીંગડાના કેન્સર, ગર્ભાશય બહાર નીકળી જવું, અકસ્માત ગ્રસ્ત પશુઓના કેસ વધુ આવતા હોય છે. આમ, પશુઓના મોટાથી રોગથી લઇને તાવ જેવા નાના કેસ સુધીના તમામ કેસમાં અહીં સારવાર ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આઇકેર યુનિટ, ડેન્ટલ વિભાગ તથા અન્ય વિભાગોને આધુનિક સાધનોથી સુજ્જ કરવાની નેમ છે.
તેઓ વધુમાં ઉમેરે છે કે, અહીં રખડતા પશુઓ જે કોઇપણ રોગના કારણે દિવ્યાંગ થઇ જાય તેઓને કાયમી ધોરણે રાખવામાં આવે છે. હાલ અહીં ગાય, ભેંસ, ઘોડા, ઊંટ, રોઝ, સસલાં, કબુતર, પોપટ, કૂતરા, ગઘેડા, બળદ, વાછરડા, સહીતના ૧૦૦૦થી વધુ પશુઓ હોસ્પિટલમાં છે. જેઓની સારવાર સાથે કાયમી ધોરણે ભરણ-પોષણ કરવામાં આવે છે. સમગ્ર સંચાલનમાં આજ ૬૦થી વધુ સભ્યનું ગ્રુપ જોડાયેલું છે.