અંદાડા ગામે મહિલાએ લગ્નના મંડપ પાસે ત્રણ કારના કાચ તોડી નાંખ્યાં

અંક્લેશ્વર તાલુકાના અંદાડા ગામે અંબિકાનગર સોસાયટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. તે વેળાં એક મહિલાએ અચાનક મહેમાનોની કારો પર લાકડીના સપાટા મારી કાચ તોડી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની હતી. કાર માલિક મહિલાઓ તેમજ અન્ય મહિલાઓએ મળી તેને પકડી મેથીપાક ચખાડ્યો હતો. ઘટનાને પગલે પોલીસ સ્થળ પર આવી પહોંચતાં મહિલાને પકડી ગઇ હતી. પ્રાથમિક તબક્કે મહિલા માનસિક બિમાર હોવાનું જાણવા મળી રહ્યું છે. અંદાડા ગામની અંબિકા નગર સોસાયાટીમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હતો. તે વેળાં વિચિત્ર ઘટના બની હતી. એક નિલમ નામની મહિલાએ લાકડીનો સપાટો લઇ દોડી આવી મંડપ પાસે પાર્ક કરેલાં વાહનો પર ફટકા મારવાનું શરૂ કરી દીધું હતું. કોઇ તેને રોકે તે પહેલાં જ તેણે ત્રણેક કારના કાચ તોડી નાંખ્યાં હતાં. મહિલાની કરતૂતની જાણ મંડપમાં લગ્ન પ્રસંગ માણી રહેલાં લોકોને થતાં તેઓ તુરંત બહાર દોડી આવ્યાં હતાં. તેમણે મહિલાને ઝડપી પાડી હતી. જોકે, કોઇ કારણ વિના જ કાચ તોડવાની વાતને લઇને અન્ય મહિલાઓ ઉશ્કેરાઇ ગઇ હતી. તેમણે મહિલાને મેથીપાક ચખાડ્યો હતો. તેમણે મહિલાને તેણે કેમ કાચ ફોડ્યાં તેનું પુછતાં તે યોગ્ય જવાબ આપી રહી ન હતી. અરસામાં બનાવની જાણ થતાં બી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. તેમણે કાયદો-વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તુરંત મહિલાને કબજામાં લઇ પોલીસ સ્ટેશને લઇ ગયાં હતાં. જ્યાં બન્ને પક્ષના લોકો એકત્ર થયાં હતાં. મહિલાની બહેનોએ તે તેના પતિના દેહાંત બાદથી માનસિક બિમાર હોઇ કૃત્ય કર્યું હોવાનું જણાવ્યું હતું. જોકે, મામલામાં સામે પક્ષના લોકો ફરિયાદ કરવી કે નહીં તે અંગેની વાટાઘાટોમાં હોઇ આ લખાય છે ત્યાં સુધી આ મામલામાં કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી. કાચ કેમ તોડ્યો તે કહેતી નથી, અમારા સંબંધીના ઘરે લગ્ન પ્રસંગમાં આવ્યા હતા ત્યારે નીલમ નામની મહિલાએ મારી તેમજ અન્ય 2 મળી 3 કારના કાચ તોડી નાખ્યા છે. ક્યાં કારણોસર તોડ્યા તે જાણી શકાયું નથી.