ગાંધીધામમાં બાળકને કારચાલકે કચડી નાખતા બાળકનું મોત
copy image

ગાંધીધામના રેલવે મથક સામે રાતના એક કાર ચાલકે 12થી 15 વર્ષીય કિશોરને કચડી નાખતાં કિશોરે જીવ ગુમાવ્યો હતો. અકસ્માત બાદ નાસી રહેલા કારચાલકને ટાગોર રોડ ઉપર ઇફ્કો પાસે ગુરુકુળ જતા કટ પાસે પકડી પાડવામાં આવ્યો હતો. ગાંધીધામના રેલવે મથક સામે રાતના અરસામાં જીવલેણ બનાવ બન્યો હતો. અહીંથી પૂરપાટ જતી એક સફેદ રંગની કારે 12થી 15 વર્ષીય કિશોરને હડફેટમાં લીધો હતો. વાહનના બંને પૈડાં કિશોર પરથી ફરી વળતાં બાળક કચડાઇ ગયું હતું. બાળકને હડફેટમાં લીધા બાદ કારચાલકે પોતાનું વાહન તીવ્ર ગતિએ હંકારી નાખ્યું હતું. તે દરમ્યાન ઇનોવા કારના ચાલકે તેનો પીછો કર્યો હતો. અકસ્માત નોતરનારો રેલવે મથક સામેથી છેક ટાગોર રોડ ઇફ્કો સુધી પોતાનું વાહન હંકારી ગયો હતો, જ્યાં ઇનોવા કારના ચાલકે તેને પકડી પાડયો હતો. દરમ્યાન ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરાતાં ત્યાં પોલીસ દોડી આવી હતી. એકત્રિત થયેલા લોકોએ જણાવ્યું હતું કે, કારમાં રાજકીય પદાધિકારીનું પાટિયું હતું, જે બાદમાં નીચે ઉતારી લેવામાં આવ્યું હતું. અહીં ટાગોર રોડ ઉપર ટ્રાફિકજામ થતાં પોલીસે ટ્રાફિકને પૂર્વવત કરી લોકોને વિખેરી નાખ્યા હતા. ગાંધીધામમાં ફરી એક વખત હિટ એન્ડ રનના બનાવથી ઇફ્કો સામે બનેલા હિટ એન્ડ રનના બનાવો તાજા થયા હતા. બનાવને સમર્થન આપી આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી .