કિડાણામાં વ્યાજે પૈસા આપી વૃદ્ધાનો પ્લોટ પડાવી લેતા બે શખ્સો સામે ફરિયાદ

copy image

કિડાણામાં રહેનાર એક વૃદ્ધાના દીકરી બીમાર પડતાં વૃદ્ધાએ રૂા. 80 હજાર વ્યાજે લઇ રકમ ભરી નાખી હોવા છતાં વધુ રકમની માંગ કરી તેમનો પ્લોટ પોતાના નામે કરાવી વેચાણની અમુક રકમ ન આપતાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. કિડાણામાં કાવ્યા રેસિડેન્સીમાં રહેનાર સાવિત્રી દેવી નંદકિશોર સાવએ કિડાણાના વિશાલસિંહ રાજપૂત તથા અંજારના ચેતન હરિલાલ ઝાલા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2023માં ફરિયાદીના દીકરીને ફેફસાંની બીમારી થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. હોસ્પિટલમાં રૂપિયા આપવા માટે ફરિયાદીએ તેમના દીકરાએ વિશાલસિંહ રાજપૂત પાસેથી રૂા. 80,000 10 ટકાના વ્યાજે લીધા હતા. બાદમાં ફરિયાદીના દીકરાએ રૂા. 60,000 ગુગલ પેથી ચૂકવી આપ્યા હતા. તેમ છતાં આ શખ્સ વધુ રૂપિયા 80 હજારની માંગ કરતો હતો. બાદમાં શખ્સ ફરિયાદી અને તેમના દીકરાને અંજાર ખાતે ચેતન હરિલાલ ઝાલા પાસે લઇ ગયો હતો, જ્યાં ફરિયાદી વૃદ્ધાનો પ્લોટ પોતાના નામે કરાવી રૂા. 2.50 લાખનું લખાણ કરાવાયું હતું, જેમાં વિશાલસિંહે માત્ર રૂા. 98,000 આપી બાકીના પૈસા કાપી લીધા હતા. આરોપીએ ફરિયાદીના દીકરાને અગાઉ ઓસ્લો પાસે માર પણ માર્યો હતો. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.