ગાંધીધામના ટ્રાન્સપોર્ટર સાથે  61.37 લાખની છેતરપિંડી

copy image

copy image

ગાંધીધામની પરિવહન પેઢી સાથે  પેઢીના કર્મચારી સહિત સાત  શખ્સો એ  રૂા. 61,37,500ની છેતરપિંડી કરી હોવાનો બનાવ પોલીસ મથકે  નોંધાયો હતો. ગાંધીધામમાં એચ.ટી. લોજિસ્ટિક્સ ચલાવતા હરબંસ રંજિત શર્માએ આરોપી દિનેશ જાંગડા (પેઢીના એકાઉન્ટન્ટ), નવરતન ભાખર (ગાડી લોડ કરાવવાનું કામ કરનાર  પૂર્વકર્મચારી અને સંપત્તિ લોજિસ્ટિકનો માલિક), જગદંબા ફ્રેઈટ કેરિયરના પ્રોપરાઈટર સુરેન્દરભાઈ, કરણી લોજિસ્ટિકના માલિક વિક્રમ, રાધિકા શિપિંગના માલિક શ્રીષ્ટી ઠાકુર, કનીકા લોજિસ્ટિકના  માલિક રોહિત, શ્રીરામ કાર્ગો મૂવર્સના માલિક વિક્રમ રાઠોડ  વિરુદ્ધ  ગુનો  નોંધાવ્યો હતો. છેતરપિંડી અને વિશ્વાસઘાતનો  આ બનાવ  ગત તા. 1/1/2020થી તા. 1/3/2023 સુધીના અરસામાં બન્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ,   ટ્રાન્સપોર્ટ  પેઢીમાં  કામ કરતા હિસાબનીશ અને ગાડીઓ લોડિંગની જવાબદારી નિભાવતા  પૂર્વ કર્મચારી નવરતન ભાખર સહિતના  આરોપીઓ  આગોતરું કાવતરું રચી અમુક ગાડીઓમાં માલ લોડ કરાવીને મોકલતા હતા, જ્યારે અમુક ગાડીઓમાં માલ ન ભરાવી  બિલ્ટીઓ (લોરી રિસિપ્ટ) બનાવતા હતા. ફરિયાદી ગત માર્ચ-2023ના પંજાબના લુધિયાણાની એચ.એલ.જી.  ટેડિંગ કંપનીમાં લેવાના નીકળતા રૂા. 82 લાખ લેવા માટે ગયા હતા, ત્યારે 50 ગાડીના બોગસ બિલ ઓફિસના હિસાબનીશ અને નવરતને બનાવ્યા હોવાની જાણ થઈ હતી. તપાસ કરતા છેતરપિંડીનું કારસ્તાન બહાર આવ્યું હતું.