જામનગરમાં રૂ. ૬૧.૭૦ લાખની ઠગાઇમાં પિતા-પુત્રની અટકાયત

જામનગર શહેરના મેમણ વેપારીને પિતા-પુત્રએ જુની નોટોની બદલી કરવામાં મોટુ કમીશન મળવાની લાલચ આપીને રૂ.૬૧.૭૦ લાખની ઠગાઇ આચર્યાની ૭ શખસો સામે ફરીયાદ લખાવી હતી. જે અંગેની એલસીબીએ તપાસ આરંભીને પિતા-પુત્રની અટકાયત કરી લીધી છે. શહેરના પાંચ હાટડી ચાર રસ્તા, તાહેરીયા મદ્રેસા નજીક રહેતાં અને દરબારગઢ નજીક ફાલુદાની દુકાન ધરાવતાં હુશેનભાઈ રજાકભાઈ ઓસમાણભાઈ કાસ (ઉ.વ.૪ર) નામના મેમણ વેપારી અગાઉ હરીશ ગીરધરભાઈ નંદા સાથે જમીન-મકાનની દલાલીનું કામ ભાગીદારીમાં કરતાં હતાં. જેથી હરીશ ગીરધરભાઈ નંદા અને તેના પુત્ર ચીરાગ હરીશ નંદા(રે.જામનગર ગોકુલનગર)વાળાએ કાવતરૂ રચ્યું હતું અને વેપારીને કહેલ કે, રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની બંધ થયેલી નોટો તેના ઓળખાતી પાસે છે. તેની પાસેથી લઈને અમદાવાદ આપી દેવાની છે. તેમાં મોટું કમિશન મળે તેમ છે. તેમ કહીને વેપારીને વિશ્વાસ આપીને રોકડ રૂ.૬૧.૭૦ લાખની રોકડ રકમ સાથે કારમાં લઈ ગયા હતાં. જે બાદ વેપારીને રાજકોટ, ચોટીલા, જુનાગઢ જેવા શહેરોમાં લઈ ગયા હતાં. જેમાં બીલખાના સલીમ, જુનાગઢનો મુન્નો ઈબ્રાહીમને અને બે અજાણી સ્ત્રીઓને કારમાં બેસાડી હતી. જુદા જુદા શહેરોમાં ફેરવતાં વેપારીને શંકાઓ જતાં તેઓએ પાછા જામનગર જવાનું કહ્યું હતું. જેથી તેને છરી દેખાડીને બગોધરા નજીક ઉતારી દીધો હતો અને રૂપિયા લઈને શખ્સો નીકળી ગયા હતાં. જે અંગેની ત્રણ દિવસ પહેલા વેપારીએ જામનગરમાં બે મહિલા, ડ્રાઈવર સહિત ૭ શખસો સામે ફરીયાદ લખાવી હતી. આ ફરીયાદની જામનગર એલસીબીના પીએસઆઈ આર.બી.ગોજીયાએ કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગેની તપાસ હાથ ધરીને પીએસઆઈએ બે દિવસમાં કાવતરૂ રચનાર હરીશ ગીરધરભાઈ નંદા અને તેના પુત્રી ચીરાગની અટકાયત કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *