ચાઈનીઝ દોરી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નનો ઉપયોગ ન પ્રતિજ્ઞાબધ્ધ બને

ગુજરાત રાજ્ય તેના વૈવિધ્યસભર તહેવારો, ઉત્સવો અને પર્વોથી દેશભરમાં સુવિખ્યાત છે. જેમાં ઉત્તરાયણના પર્વનું અનેરૂ મહત્વ છે. ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ  ઘાયલ થવાના તથા મોતને ભેટવાના બનાવો બને છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સમયસર સારવાર તથા બચાવ માટે કરૂણા અભિયાન ચલાવવા સાથે નાગરિકોમાં જાગૃતિ આવે તે કાર્યક્રમો યોજવામાં આવે છે. આ જાગૃતિ અભિયાન અંતર્ગત પતંગ ઉડાડવા દરમિયાન નાગરિકો જો સંવેદનશીલ બનીને જીવદયાને ધ્યાને રાખી કેટલીક તકેદારી રાખે તો અબોલ પક્ષીઓને બચાવી શકાશે.

દરેક નાગિરેક ઉત્તરાયણ પ્રસંગે ચાઈનીઝ દોરી, ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ, ચાઇનીઝ લેન્ટર્નનો ઉપયોગ ન કરવા સંકલ્પબધ્ધ થવા સાથે ચાઇનીઝ દોરી વેચાણ કરતા કોઇ ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરવા જાગૃત બનવું .

દરેક નાગરિક આટલું કરે:-

ઘાયલ પક્ષીને જોતા તરત જ નજીકના સારવાર કેન્દ્ર/બચાવ કેન્દ્રનો સંપર્ક કરીએ. ઘાયલ પક્ષીની આંખને કપડાંથી ઢાંકી બાસ્કેટ કે કાણા વાળા પુંઠાના બોક્સમાં રાખી બનતી ત્વરાએ સારવાર કેન્દ્રમાં પહોંચાડીએ. વૃક્ષો/ઇલેક્ટ્રિક લાઈન અને ટેલીફોન લાઈનથી દૂર પતંગ ચગાવીએ. ઉત્તરાયણ બાદ નકામી/ફસાયેલી દોરીઓનો નિકાલ કરીએ. ચાઇનીઝ દોરીનો વેચાણ કરતા ધ્યાને આવે તો તરત જ સ્થાનિક પોલીસ કે વન વિભાગને જાણ કરવી.

દરેક નાગરિક આટલું ન કરે –

સવારે ૯:૦૦ વાગ્યા પહેલા કે સાંજે ૫:૦૦ કલાક પછી પતંગ ન ચગાવીએ. ચાઇનીઝ દોરી, સિન્થેટીક કે કાચ પાયેલી દોરીનો પતંગ ચગાવવા ઉપયોગ ન કરીએ.ચાઇનીઝ લોન્ચર, ચાઇનીઝ તુક્કલ ચાઇનીઝ લેન્ટર્નનો ઉપયોગ ન કરીએ. ઘાયલ પક્ષીની સારવાર જાતે ન કરીએ, જાનનું જોખમ થાય તે રીતે જાહેર રસ્તા તેમજ ભયજનક ધાબા પર ચડીને પતંગ ન ચગાવવી.

રાજ્યમાં તમામ પક્ષી સારવાર કેન્દ્રો દર્શાવતા ઓનલાઈન મેપની લીંક સ્વયં સંચાલીત વાઈલ્ડલાઈટ હેલ્પલાઇન નંબર ૮૩૨૦૦૦૨૦૦૦ માં વોટ્સએપ મેસેજમાં “KARUNA” મેસેજથી મળી શકશે.