જૂનાગઢ : ભેંસાણના મોરવાડા ગામે બંધ મકાનમાંથી ત્રણ ઇસમો રૂ. ૫૧,૫૦૦ની મત્તાની તસ્કરી કરીને મોટરસાયકલ ઉપર પલાયન થઇ જતાં સનસનાટી મચી ગઇ હતી. આ અંગેની વિગતો એવી છે કે, ભેંસાણ તાલુકાના મોરવાડા ગામે રહેતા મનસુખભાઇ ભનુભાઇ કોટડીયા મકાનને તાળુ લગાવીને પરિવાર સાથે બહારગામ ગયા હતા. ત્યારે તેમના બંધ મકાનમાં ખાબકી તસ્કરો સોનાનો ચેન, બ્રેસલેટ વગેરે મળી કુલ રૂ.૫૧,૫૦૦ની કિંમતના સોનાના દાગીના તસ્કરીને નાસી છૂટયા હતા. તસ્કરીની આ ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જેમાં મોટરસાયકલ ઉપર આવેલા ત્રણ ઈસમો હાથફેરો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.