જામજોધપુરમાં વેપારી લધુશંકા કરવા ગાયને મિનિટોમાં જ દુકાનમાંથી રૂ. 70,000 ની રોકડની તસ્કરી થઈ જતાં પોલીસને જાણ કરતાં પોલીસે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજના આધારે કાર્યવાહીનો ધમધમાટ આદર્યો છે. જેમાં એક ઈસમ સીસીટવી કેમેરામાં કેદ થઈ જતાં તેની ઓળખ મેળવવામાં આવી રહી છે. જામજોધપુરના તિરૂપતી સોસાયટી, મેઇન રોડ પોલીસ સ્ટેશન ઓફિસની સામે રહેતા જિતેન્દ્રભાઈ જમનાદાસભાઈ ત્રાંબળીયા નામના વેપારીની જામજોધપુરમાં ગીંગણી રોડ, જી.ઇ.બી.ક્વાર્ટર્સની સામે વિજય ટ્રેડર્સ નામની શીંગતેલની દુકાન આવેલી છે. ત્યારે દુકાનમાં સવારના અરસામાં વેપારી દુકાન ખુલ્લી મૂકીને લધુશંકા કરવા માટે ગયા હતા. ત્યારે ગણતરીની મિનિટોમાં જ કોઈ અજાણ્યો ઈસમ દુકાનમાં ઘુસીને ખાનાનું લોક તોડીને તેમાંથી વેપારના રૂ. 70,000 ની તસ્કરી કરીને નાશી ગયો હતો. જ્યારે વેપારી લધુશંકા કરીને પાછા આવતા ટેબલનું લોક તુટેલું જોતાં તેમાં રૂપિયા ન હોવાથી તેઓએ સીસીટીવી કેમેરો ચેક કરતાં તેમાં એક ઈસમ તસ્કરી કરતો કેદ થયો હતો. જે અંગેની પોલીસને જાણ કરતાં પીએસઆઈ જે.કે.મોરી તથા સ્ટાફના ધટના સ્થળે પહોંચી ગયા હતા અને તસ્કર દુર ન ગયો હોય તેવી શંકાના આધારે તે વિસ્તારમાં પેટ્રોલીંગ કર્યું હતું. પરંતુ તસ્કર મળી આવ્યો ન હતો. આ બાબતે પોલીસે અજાણ્યા ઈસમ સામે ગુનો નોંધીને સીસીટીવી ફુટેજ મેળવીને ઇસમની શોધખોળ શરૂ કરી છે.