ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા ખાન પાનમાં સુધારા થકી મેદસ્વિતાનો કરો સામનો

આજના સમયમાં મેદસ્વિતા એક ગંભીર સમસ્યા બની ગઈ છે. શરીરનું વજન વધારે હોય તો અનેક બીમારીનો ભોગ બનવાનો ખતરો રહે છે. વધારે વજનને કારણે શરીરમાં અનેક સમસ્યા થવા લાગે છે, અને શરીર બીમારીઓનું ઘર બની જાય છે. તેવામાં મેદસ્વિતા દૂર કરવી જરૂરી છે. હવે ગુજરાત સરકારે આ માટે  ‘મેદસ્વિતા મુક્ત ગુજરાત’ નામે એક ખાસ અભિયાન શરૂ કર્યું છે. ત્યારે ચાલો જાણીએ આપણી પરંપરાગત ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ દ્વારા મેદસ્વિતા સામે કેવી રીતે લડી શકાય.

આયુર્વેદ એ અથર્વવેદનો ઉપવેદ છે. આ ભારતીય ચિકિત્સા વિજ્ઞાન એ આધુનિક ચિકિત્સા વિજ્ઞાનનો મૂળ પાયો પણ છે. આયુર્વેદ નું મૂળ હેતુ સ્વસ્થતા ના સ્વાસ્થ્યનું રક્ષણ છે.એટલે કે માત્ર બિમારની બિમારી દુર કરવુંજ નહીં પણ સ્વસ્થ વ્યક્તિ હંમેશા તંદુરસ્તજ રહે તે પણ આયુર્વેદનો ધ્યેય છે.

વર્તમાન સમયમાં એન.સી.પી એટલે કે નોન કોમ્યુનિકેશન ડીસીઝ એટલે ચેપ વગરની બીમારીઓ વધી રહી છે. જેમાં બીપી, ડાયાબિટીસ જેવી બીમારીઓ સામેલ છે. જેથી આ દિશામાં પગલાં લઈ રાજ્ય સરકાર જન હિતમાં સ્વાસ્થ્ય અને સુખાકારીનું એક મહત્વનું પગલું લઈ રહી છે. ત્યારે મેદસ્વિતાના કારણોમાં સૌથી પહેલું અને મોટું કારણ બેઠાડું જીવન અને કસરતનો અભાવ મુખ્ય છે.

વજનનો અર્થ જ ‘વ’ એટલે વધારે પડતું, ‘જ’ એટલે જમવું અને ‘ન’ એટલે નહીં, એટલે કે ‘વધારે પડતું જમવું નહીં’ એવો થાય છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ જમવાની એક પદ્ધતિ છે, જેના દ્વારા મેદસ્વિતા ઘટાડી શકાય છે. આ પદ્ધતિ પ્રમાણે બે ભાગ અનાજ, એક ભાગ પાણી અને એક ભાગ હવા માટે રાખવો એટલે કે 10% ભૂખ્યા રહેવું ખૂબ પેટ ભરીને ન જમવું તે હિતાવહ છે. સાથે જ તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તલના તેલના ઉપયોગથી મેદસ્વિતા સામે લડવામાં ઘણી મદદ મળે છે, જેનું કારણ એ છે કે, તલનું તેલ પાતળા માણસને જાડા કરવા અને જાડાને પાતળા કરી શકવા સક્ષમ છે, ખૂબ જ ઉપયોગી છે.

સ્થૂળતા ઘટાડવી ખૂબ જ જરૂરી છે, જ્યારે શરીરમાં કોઈ પણ રોગ થાય ત્યારે પાતળા મનુષ્યને ઓછું નુકસાન અને ઓછી તકલીફ વેઠવી પડે છે, જ્યારે મેદસ્વિતા વાળા વ્યક્તિએ કોઈપણ બીમારીમાં અન્ય કરતાં વધારે હેરાન થવું પડે છે, અને કોઈપણ બીમારીનો ઈલાજ સહેલાઈથી થઈ શકતો નથી. સ્થૂળતાની સીધી અસર અસ્થિ એટલે કે હાડકા પર થાય છે, જેમ સ્થૂળતા વધે તેમ હાડકા નબળા બને છે, અને શરીર રોગોનું ઘર બનતું જાય છે.