કચ્છના દેવપર (યક્ષ)ના ખેડૂત જગદીશભાઈએ પ્રાકૃતિક ખેતીથી કચ્છી કેરીનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવ્યું :  ભારતભરમાં કેરીની કરે છે નિકાસ

રણની પથરાળ, ઉજ્જડ અને ડુંગરાણ જમીન, પાણીની અઢળક સમસ્યા ઉપરથી સૂકુ વાતાવરણ કે જ્યાં સામાન્ય પાકનું ઉત્પાદન લેવુ એ પણ લોહી પાણી એક કરવા સમાન છે. આવી જમીનને ખેડીને બાગાયતી પાકનું ઉત્પાદન કરવું, ૦% ખર્ચ સામે ૧૦૦% ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવું તથા ભારતભરમાં પોતાના પાકની નિકાસ કરવી, મબલક પાક સાથે લાખોની આવક આ બધુ એ પણ પ્રાકૃતિક ખેતી થકી મેળવી રહ્યા છે. કેવી અચરજની વાત લાગે છે…..બરાબરને……. જેની કલ્પના કરવી પણ આપણને અશક્ય લાગે છે તેવા કચ્છના વેરાન રણમાં બાગાયતી પાકનું વાવેતર કરનાર જગદીશભાઈ લિંબાણીએ આ વાતને સાર્થક કરી બતાવી છે, ખેડૂતોમિત્રો માટે પ્રાકૃતિક ખેતીના પ્રેરણારૂપી બીજ બોયા છે….. તો આવો આપણે પણ આ સ્વાદ માણીને પ્રાકૃતિક ખેતીક્ષેત્રે કરેલી તેમની ક્રાંતી વિશે જાણીએ….

પ્રાકૃતિક ખેતી એટલે પ્રકૃતિના મૂળભૂત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગૌમૂત્ર થકી ઓછા ખર્ચે કરવામાં આવતી ખેતી છે. આવી જ પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા સરકારશ્રી દ્વારા પ્રાકૃતિક કૃષિનું જનઅભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યભરમાં મોટી સંખ્યામાં ખેડૂતો રાસાયાણિક ખેતીથી થતાં ખર્ચાઓની સામે પ્રાકૃતિક ખેતીથી થતાં ફાયદાઓથી અવગત થઈને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. જેમાં કચ્છના ખેડૂતો પણ ધીમેધીમે આ પ્રાકૃતિક ખેતી થકી થતાં લાભ ઉઠાવી રહ્યા છે. કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર (યક્ષ) ગામના રહેવાસી ખેડૂત જગદીશભાઈ લિંબાણી ૩૫ વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. પોતાના અનુભવ અને પ્રાકૃતિક ખેતી પધ્ધતિથી બાગાયત પાકનું ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીક્ષેત્રે એર્વોડથી સન્માનિત થયેલા જગદીશભાઈ ખેડૂતોને તાલીમ પણ આપે છે. ૬૮ એકર જેટલી વાડીમાં આચ્છાદન દ્વારા જમીનનું જતન, ટપક સિંચાઈથી પાણીનો પ્રમાણસર ઉપયોગ, યંત્રોનો જરૂર પૂરતો ઉપયોગ કરીને સખત મહેનત થકી  કેરી, દાડમ અને ખારેક સહિતના ફળોનું ઉત્પાદન કરી નજીવા ખર્ચ સામે બમણી આવક મેળવી રહ્યા છે.  ભારતભરમાં નાસિક, રાયપૂર, વડોદરા, વિસનગર, અમદાવાદ, મોડાસર વગેરે શહેરોમાં નિકાસ કરી ત્યાના લોકોને કચ્છના ફળોનો મીઠો સ્વાદ ચખાડી રહ્યા છે….

ખેડૂત જગદીશભાઈ લિંબાણી જણાવે છે કે,  તેઓ વર્ષોથી ખેતી સાથે સંકળાયેલ છે, શરૂઆતમાં તેઓ રાસાયણિક ખેતી પદ્ધતિથી ખેતી કરતા હતા. ત્યાર પછી બાગાયતી પાકની ખેતી કરવાની શરૂઆત કરી હતી. શરૂઆતથી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો બહોળા પ્રમાણમાં વપરાશ કરતા હતા. તેથી ખેતીમાં ખર્ચનું પ્રમાણ વધી જતું હતું. જેથી આવક કરતા ખર્ચ વધી જતો જેની સામે પૂરતા ભાવ મળતા ન હતા, તેથી ખોટ ભોગવવી પડતી હતી. રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી સુક્ષ્મ તત્વોનું પ્રમાણ ઓછું થઇ જતું જેના કારણે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી તેમજ જમીનમાં ક્ષારનું પ્રમાણ વધતા પાકને ખૂબ જ નુકસાન થતું હતુ.

પ્રાકૃતિક ખેતી પદ્ધતિ વિશે વાત કરતા તેઓ જણાવે છે કે, કરમસદમાં સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારની વાડીની મુલાકાત લેતાં ત્યાથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મળી અને ૨૦૧૮થી પ્રાકૃતિક ખેતી કરવાની શરૂઆત કરી. ઉપરાંત રાજ્ય સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવતા અભિયાન દ્વારા આત્મા યોજના થકી પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ લીધા બાદ ખરા અર્થમાં પ્રાકૃતિક ખેતી તરફ વળવાની પ્રેરણા મળી હતી. આમ તાલીમબધ્ધ  રીતે પર્યાવરણને ઉપયોગી એવી પ્રકૃતિક ખેતીની શરૂઆત કરીને ૧૦૦% જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

તેઓ જણાવે છે કે,  તેમની કુલ ૬૮ એકર જમીન છે. જેમા તેઓ કેરી, દાડમ અને ખારેક જેવા પાકો લઈ રહ્યા છે. કુલ જમીનમાંથી ૧૧ એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કેરીનું  ઉત્પાદન કરી રહ્યા છે. જેમાં આ વર્ષે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ ૧૨૦૦ ટન પાકનું ઉત્પાદન થયું છે, પ્રત્યેક ઝાડ દીઠ ૮૦થી ૯૦ કીગ્રા કેરીનું ઉત્પાદન મળે છે. કેરીના પાક માટે અમુક ટકા ભાગની જમીન માટે અન્ય રાજ્યોમાંથી પ્રી – ઓર્ડર મળી રહ્યા છે. કેરીના પાકની આસપાસ જમીન પર ભેજ જળવાઈ તથા જમીનનું રક્ષણ કરવા માટે પ્રાકૃતિક ખેતીમાં આચ્છાદન પદ્ધતિ અપનાવી છે. જેમાં પાકની આસપાસની જમીનને લિમડાના પાન, મગફળીનો ચારો, અન્ય ઝાડના પાન તથા સૂકા ડાળીઓના કચરાને એકત્રિત કરીને પાથરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતીમાં ઘન જીવામૃત, ગૌ- કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક તેમજ આંબાના પાક માટે જરૂરી બિવેરીયા બેસીના બેકટેરીયા પણ પ્રાકૃતિક પદ્ધતિથી ગોળ સાથે પલાળીને રોગ નિયંત્રણમાં ઉપયોગમાં લેવામાં આવે છે.

પ્રાકૃતિક ખેતીમાં બધી જ વસ્તુ જેમ કે, જરૂરી ખાતર અને રોગ નિયંત્રકો, જીવામૃત, ગૌ-કૃપા અમૃત, બીજામૃત, દશપર્ણી અર્ક સહિત બધુ જ જાતે બનાવી શકાય છે. જેથી દવાઓ કે ખાતરો બજારમાંથી લેવા પડતા નથી. જગદીશભાઈ ઉમેરે છે કે, રાસાયણિક ખેતી સામે હાલ ખર્ચાઓમાં ઘટાડો થયો છે. જીવામૃતના ઉપયોગથી જમીનમાં સુક્ષ્મ તત્વોનું પ્રમાણ વધ્યું છે. જેથી અલગથી જૈવિક ખાતરના વપરાશની જરૂર પડતી નથી. પ્રાકૃતિક પદ્ધતિથી જમીનની તથા પાણીની ગુણવતા સુધરી છે, જેથી જરૂરી પી.એચ પણ મળી રહે છે. ઉપરાંત પ્રાક઼ૃતિક ખેતી થકી જમીનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે અને ફળની ગુણવત્તામાં પણ સુધારો થયો છે. સુક્ષ્મતત્વો તથા મિત્ર કીટકોનું પ્રમાણ વધ્યું છે જેથી સારુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળી રહ્યું છે.

ખેડૂતશ્રી જગદીશભાઈ લીંબાણી કચ્છના ખેડૂત મિત્રોને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતાં પ્રાકૃતિક ખેતીના અભિયાનનો એક ભાગ બની પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ કરતાં જણાવે છે કે, પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પર્યાવરણ માટે ઉપયોગી છે. ઉપરાંત ખેડૂતોને એવો ભય હોય છે કે પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી સારો પાક મેળવી શકાશે નહીં પરંતુ એવુ નથી તેથી સંકોચ વિના પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ. ઉપરાંત રાજ્ય સરકારે વિવિધ યોજના અમલી કરી છે. ત્યારે તેનો લાભ મેળવી મહત્તમ પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરીએ અને પર્યાવરણનું જતન કરીએ.

–     જિજ્ઞા પાણખાણિયા