ભુજના મચ્છુનગર વિસ્તારની સર્ગભાને સમયસર સારવાર મળતા પ્રસૂતિ વેળાનું જોખમ ટળ્યું

ભુજ શહેરના મચ્છુનગરમાં રહેતી શ્રમજીવી પ્રસૂતાને રાજ્ય સરકાર તથા કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગની મદદથી સફળ સારવાર મળતા મહિલાને નવજીવન પ્રાપ્ત થયું હતું.

મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતા પરિવારની શ્રમજીવી સર્ગભા ગજરાબેન પટ્ટણીને અચાનક પ્રસૂતિનો દુઃખાવો ઉપડતા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ભુજ-3ના આશાબેન દ્વારા મહિલાને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૯ માસનો ગર્ભ ધરાવતા મહિલાને તારીખ પહેલા પ્રસૂતિની પીડા થતાં તેણીની તપાસ કરતા ગર્ભમાં બાળક મૃત હોવાનું નિદાન થયું હતું. આ દરમિયાન શ્રમજીવી મહિલાને અચાનક આંતરિક રક્તસ્ત્રાવનું પ્રમાણ પણ વધી જતા હિમોગ્લોબીન ઘટીને ૪ ટકા જેટલું થઇ જતા “બી નેગેટીવ” બ્લડની તત્કાલ જરૂરિયાત ઉભી થઇ હતી. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-૩ની ટીમ અને તાલુકા હેલ્થ ઓફિસર ભુજ દ્વારા બ્લડની વ્યવસ્થા કરવામાં આવી હતી. સગર્ભા તબિયત સ્થિર થયાં બાદ બીજા દિવસે સિઝેરિયન કરીને મૃત બાળકને બહાર કાઢવામાં આવ્યું હતું. ઓપરેશન તથા અન્ય સારવાર છતાં મહિલાના હિમોગ્લોબીનનું પ્રમાણ ન વધતા વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. પરંતુ લાભાર્થીની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે તેઓ અમદાવાદ જવા અસમર્થ હોવાથી જિલ્લા રસીકરણ અધિકારીશ્રી દ્વારા જી.કે.જનરલના તબીબ સાથેના પરામર્શ બાદ લાભાર્થીને અમદાવાદ લઇ જવા માટે ફ્રી એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. 

સર્ગભાને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૫ દિવસની સઘન સારવાર આપવામાં આવતા અંતે મહિલા પર જીવનું જોખમ ટળ્યું હતું. આમ, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ગોલ્ડન અવર્સમાં શ્રમજીવી મહિલાને સમયસર સારવાર મળી રહે તે માટે સફળ પ્રયાસ કરતા મહિલાને નવજીવન પ્રાપ્ત થયું હતું.

મહિલાને સઘન સારવાર મળ્યા બદલ શ્રમજીવી મહિલાના પરિવારજનો દ્વારા રાજ્ય સરકાર તથા જિલ્લા આરોગ્ય વિભાગનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.

જિજ્ઞા વરસાણી