ભુજના સ્મૃતિવન ખાતે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરાઇ

copy image

જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રીશ્રી કુંવરજી બાવળીયાના અધ્યક્ષસ્થાને ભુજ સ્મૃતિવન ખાતે જિલ્લાકક્ષાના ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ ની થીમ પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે “મિયાવાકી વન”ના આહલાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં ૨૫૦૦થી વધુ યોગપ્રેમીઓ જોડાયા હતા.
આ તકે મંત્રીશ્રી કુંવરજી બાવળીયાએ જણાવ્યું હતું કે, યોગને વડાપ્રધાનશ્રીએ દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડયો છે ત્યારે કેન્દ્ર તથા રાજ્ય સરકાર યોગને દરેક ઘર, ગામ તથા શહેરના નાગરિકો સુધી પહોંચાડવા કટિબદ્ધ છે. આ જ સંકલ્પને સાર્થક કરવા ૨૧ જૂનના યોગ ડેની ઉજવણી સાથે રાજ્ય સરકાર દ્વારા આ દિશામાં વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, યોગ શારીરિક વ્યાયામ નહીં, પરંતુ જીવન જીવવાની કળા છે. યોગ એક દિવસ માટે નહીં પરંતુ ૩૬૫ દિવસ દૈનિક જીવનમાં અપનાવવો જોઇએ. યોગથી માત્ર શરીર જ નહીં પરંતુ મન પણ સ્વસ્થ બને છે. યોગના કારણે તણાવ ઘટતા સકારાત્મક વિચાર થકી રોગમુક્ત બનવામાં મદદ મળે છે. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વે યોગનો સ્વીકાર કર્યો છે ત્યારે યોગ સાથે જોડાઇને સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાનનો પણ આપણે સૌ ભાગ બનીએ. યોગ સ્વસ્થ અને નિરોગી જીવન જીવવા માટેનું મહત્વનું પાસું છે ત્યારે દરેક નાગરિકોને યોગમય જીવનશૈલી અપનાવવા રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપે તેવી લાગણી તેમણે વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી એ યોગના માધ્યમથી સમગ્ર વિશ્વને જોડ્યું છે ત્યારે ભારતીય સંસ્કૃતિની ધરોહર એવા યોગ સાથે આખું વર્ષ જોડાઇને સ્વાસ્થ્ય પ્રાપ્ત કરીએ. તેમણે ઉમેર્યું હતું કે, યોગ મનને શાંતિ અને તનને સ્ફૂર્તિ આપે છે ત્યારે યોગને જીવનશૈલીનો ભાગ બનાવવો જોઇએ.
સમગ્ર કચ્છમાં યોગ દિવસ નિમિત્તે જિલ્લાકક્ષાનો કાર્યક્રમ, તાલુકાકક્ષા તથા જ્યાં નગરપાલિકા છે ત્યાં સંયુક્ત ઉપક્રમ સાથે કુલ યોગ દિવસના ૧૦થી વધુ કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં નાગરિકો તથા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અંજારનો કાર્યક્રમ આહીર બોર્ડિંગ ગ્રાઉન્ડ, ગાંધીધામનો કાર્યક્રમ રમત-ગમત સંકુલ, રાપરનો કાર્યક્રમ સ્વામીનારાયણ ગુરૂકુળ, માંડવીનો કાર્યક્રમ ચુનીલાલ વેલજી ઉદ્યાન, નખત્રાણાનો કાર્યક્રમ ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, મુન્દ્રાનો કાર્યક્રમ અદાણી પબ્લીક સ્કુલ, અબડાસાનો કાર્યક્રમ ખરવાડ ગ્રાઉન્ડ છાડુરા, ભચાઉનો કાર્યક્રમ પટેલ બોર્ડિંગ અને લખપતનો કાર્યક્રમ પી.એમ.લીંબાણી હાઈસ્કૂલ દયાપર ખાતે યોજવામાં આવ્યો હતો.
આ અવસરે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વિશાખાપટ્ટનમ ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાઇ ભારતીવાસીઓને યોગ સાથે જોડાવવા પ્રેરણાત્મક સંબોધન કર્યું હતું.
આજના કાર્યક્રમમાં ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, રેન્જ આઇ.જીશ્રી ચિરાગ કોરડીયા, કલેક્ટરશ્રી આનંદ પટેલ, પશ્ચિમ કચ્છ એસ.પીશ્રી વિકાસ સુંડા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા, સ્મૃતિવનના મેનેજરશ્રી મનોજ પાંડે સહિતના પદાધિકારીશ્રીઓ-અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા ઉપસ્થિત રહ્યાં હતાં.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના કચ્છ જિલ્લા યોગ કો-ઓર્ડિનેટર શ્રી સંત રામદાસજી દ્વારા યોગ પ્રોટોકલની તાલીમ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી મનન ઠકકરે કર્યું હતું.