ડેન્ગ્યુથી બચવા આટલી તકેદારી રાખીએ

ચોમાસાની ઋતુમાં એડીસ મચ્છર વધુ સક્રિય હોય છે. જેથી દરેક વ્યક્તિ અને પરિવારે ડેન્ગ્યુથી બચવા  કાળજી રાખવી જરૂરી છે.

શું છે ડેન્ગ્યુ?

        ડેન્ગ્યુ એડીસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. ડેન્ગ્યુ વાયરસથી સંક્રમિત મચ્છર કરડવાથી ડેન્ગ્યુનો ચેપ ફેલાય છે. જ્યારે સંક્રમિત મચ્છર કોઈ વ્યક્તિને કરડે છે, ત્યારે તે વાઇરસને વ્યક્તિના લોહીમાં છોડી દે છે.

લક્ષણો –

        અચાનક ખૂબ જ તાવ આવે,જે ત્રણથી સાત દિવસ સુધી તાવ રહે. આંખોના ડોળાની પાછળ દુ:ખાવો થાય અને ખાસ કરીને આંખના હલનચલનથી દુ:ખાવામાં વધારો થાય છે. માથાના આગળના ભાગમાં (કપાળમાં) સખત દુ:ખાવો થાય. તાવ સાથે ઉલ્ટી અને ઉબકા થાય અને ભૂખ ન લાગે. સાંધા તેમજ સ્નાયુઓમાં દુ:ખાવો થાય. ક્યારેક હાથ અને ચહેરા ઉપર ઓરી જેવા દાણા દેખાય.

તકેદારી

શરીર ઢંકાય તેવા વસ્ત્રો પહેરવા, મચ્છર દૂર રાખવાની ક્રીમ લગાવવી. દિવસે પણ મચ્છર અગરબત્તી સળગાવવી. તમામ પ્રકારની પાણીની ટાંકીઓ, ફૂલદાની વગેરે નિયમિત સાફ કરવી. ડેન્ગ્યુના મચ્છરો ચોખ્ખા અને બંધીયાર પાણીમાં ઉત્પન્ન થાય છે, જેથી નિયમિત તેની સફાઈ કરવી.