ભચાઉમાં “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

ભચાઉના ભઠ્ઠા વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ. નારાયણ સિંઘના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ (NTCP) અન્વયે “તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0” અંતર્ગત રેલી સાથે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં COTPA-૨૦૦૩ (Cigarettes and Other Tobacco Products Act, 2003)ના નિયમો વિશે માર્ગદર્શન તથા મોઢાના કેન્સર જેવા ગંભીર રોગોના જોખમો અંગે માહિતી આપવામાં આવી હતી. જેમાં તાલુકા હેલ્થ સુપરવાઈઝર દિપકભાઈ દરજી, જયશ્રીબેન કરમટા, એડોલેશન હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર, એમ.ટી.એસ. કૌશિક સુતરીયા આંગણવાડી વર્કર જાગૃતિબેન મૂછડિયા હાજર રહ્યા હતાં. કાર્યક્રમના અંતે પરિવાર, સમાજ, રાષ્ટ્ર તમાકુ મુક્ત બને તે માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.
અભિયાનનો મુખ્ય હેતુ યુવાનોમાં તમાકુથી થતાં નુકસાન અંગે જાગૃતિ ફેલાવવાનો અને તેમને વ્યસનમુક્ત જીવન જીવવા માટે પ્રેરિત કરવાનો છે. તમાકુના વ્યસનથી કેન્સર, શ્વાસની તકલીફ, બ્રોનકાઈટીસ, કાયમી ખાંસી, ન્યુમોનિયાની તકલીફ થાય છે. પાન-મસાલા, ગુટખાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધી જાય છે. મોઢા સાથે સંકળાયેલ અવયવો દાંત, અન્નનળી, સ્વર પેટી, સ્વાદુપીંડ વગેરેને પણ અસર થાય છે તેવું તાલુકા હેલ્થ ઓફિસ ભચાઉની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.