કચ્છમાં ૨૦ નવેમ્બરે અંજાર અને માંડવી ખાતે એકતા પદયાત્રા યોજાશે
ગુજરાત સરકાર દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતીના અવસર પર આયોજિત એક રાષ્ટ્રવ્યાપી જન અભિયાન અંતર્ગત “યુનિટી માર્ચ” એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. કચ્છમાં વિધાનસભા વિસ્તારવાઈઝ એકતા યાત્રા સ્થાનિક મહાનુભાવશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રમતવીરો, સરકારી સંસ્થાઓ, સહકારી સંસ્થાઓ, NCC, NSS કોલેજના સંયુક્ત સહકારથી યોજાશે. જેમાં ૨૦ નવેમ્બરના રોજ અંજાર વિધાનસભાની સવારે ૯.૦૦ કલાકે નાની નાગલપરથી નીકળીને અંજાર શહેર ટાઉનહોલ સુધી તથા માંડવી વિધાનસભા વિસ્તારની બપોરે ૩.૦૦ કલાકે આશાપુર મંદિર પ્રાગપરથી શરૂ થઈને ન્યૂ મુન્દ્રા સુધી એકતા યાત્રા યોજાશે.
આ એકતા યાત્રા દરમિયાન સરદાર સ્મૃતિ માટે વૃક્ષારોપણ, એનએસએસ કેમ્પ, રાષ્ટ્રીય નાયકોની પ્રતિમાઓની સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન, એકતા શપથ, આરોગ્ય શિબિર, સ્વદેશી ભારત આત્મનિર્ભર ભારત, યોગ શિબિર, શાળાકક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. કચ્છ જિલ્લામાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મજયંતિ ઉજવણી સંદર્ભે એક રથનું આગમન થશે.
પદયાત્રા દરમિયાન સ્થાનિક નાગરિકો, કોલેજના વિદ્યાર્થીઓ, એનસીસી, એનએસએસ, સહકારી મંડળીઓ, વિવિધ રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતો, સામાજિક સંસ્થાઓ, આગેવાનો સ્થાનિક સ્વરાજની સંસ્થાના પદાધિકારીઓ, સેલ્ફ હેલ્પ ગ્રુપના તમામ નાગરિકો પદયાત્રામાં જોડાશે.