કચ્છમાં “મિનરલ પ્રોસેસિંગ ઝોન” બનાવવા માટે વિશેષ સેમિનારનું ગાંધીધામ ખાતે આયોજન : ૧૫૦થી વધુ મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓ બનશે સહભાગી
ગાંધીધામ ખાતે ૦૨ જાન્યુઆરીના રોજ આયોજિત જિલ્લાકક્ષાના વાઈબ્રન્ટ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લામાં રહેલી મિનરલ પ્રોસેસિંગની અપાર સંભાવનાઓ વિશે વિમર્શ કરવા તેમજ કચ્છ ઈકોનોમિક પ્લાન મુજબ જિલ્લામાં “મિનરલ પ્રોસેસિંગ ઝોન” બનાવવા વિશેષ સેમિનારનું આયોજન ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટશન ફોર ટાન્સફોર્મેશન, જીએમડીસી, ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા મુખ્ય અતિથિ તરીકે સેમિનારમાં ઉપસ્થિત રહેશે.
ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના હોલ ખાતે તા. ૦૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ બપોરે ૨.૦૦ કલાકે “સેમિનાર ઓન ઈકોનોમિક માસ્ટર પ્લાન ફોર કચ્છ એન્ડ પોટેન્શિયલ સેટ અપ ટુ મિનરલ પ્રોસેસિંગ ઝોન ઈન કચ્છ” શીર્ષક હેઠળ આયોજિત સેમિનાર કચ્છના મિનરલ ક્ષેત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની રહેશે. ખનીજ સંપદાઓથી ભરપૂર કચ્છ જિલ્લામાં આ સેમિનારના આયોજનથી કચ્છના આર્થિક વિકાસને વેગ મળશે.
આ સેમિનારમાં ૧૫૦થી વધુ મિનરલ પ્રોસેસિંગ સાથે સંકળાયેલા જાહેર સાહસો તેમજ કચ્છની મિનરલ પ્રોસેસિંગ કંપનીઓના પ્રતિનિધિશ્રીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સેમિનાર સરકારી સંસ્થાઓ, જાહેર સાહસો અને ખાનગી યુનિટને ચર્ચા વિચારણા તેમજ ઔદ્યોગિક રણનીતિનો એક મંચ પુરો પાડશે.
સેમિનારમાં નોલેજ સેશન અંતર્ગત ખનિજ સંપદાઓ દ્વારા ઉદ્યોગ સાહસિકતા, કચ્છની વિપૂલ ખનીજ સંપત્તિનું મૂલ્યવર્ધન જેવા વિષયો પર નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. ખાસ કરીને વિવિધ સેશનમાં લાઈમસ્ટોન મેનેજમેન્ટ, ચાઈના ક્લે તેમજ વ્હાઈટ ક્લે, સોડા એશ અને કેમિકલ સોલ્યુશન્સ તેમજ મલ્ટી-મિનરલ સિનર્જી જેવા વિષયોને આવરી લેવાશે. આ સેમિનારમાં ટાટા કેમિકલ, જીએચસીએલ, આશાપુરા માઈનકેમ, જીએનએફસી વગેરે કંપનીઓ સહભાગી બનશે.
આ સેમિનારમાં જીએનએફસીના મેનેજિંગ ડીરેક્ટરશ્રી રાજકુમાર બેનિવાલ, ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂટશન ફોર ટાન્સફોર્મેશનના સીઈઓશ્રી સ્તુતિ ચારણ, જીએમડીસીના સિનિયર જનરલ મેનેજરશ્રી એ.કે.માંકડીયા, ગ્રીટ ટીમના મેમ્બર્સ સર્વે સુશ્રી તેજલ પરમાર, શ્રી એ.વી.ચાંપાનેરી, શ્રી દિવ્યા નબુથીરી સહિત એક્સપર્ટ, વક્તાઓ, ઉદ્યોગપતિઓ અને મિનરલ સાથેની સંલગ્ન યુનિટના પ્રતિનિધિશ્રીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.