ધોરડો ખાતે ‘વિકસિત ભારત ૨૦૪૭’ વિઝન અંતર્ગત “ક્લાઈમેટ રેઝિલિયન્ટ ડીઝાસ્ટર મેનેજમેન્ટ” વિષય પર બે દિવસીય રાષ્ટ્રીય કોન્ફરન્સનો પ્રારંભ

વિકસિત ભારત ૨૦૪૭ના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે અને ક્લાઈમેટ ચેન્જના જોખમો સામે સજ્જ થવાના ઉમદા હેતુ સાથે કચ્છના ધોરડો ટેન્ટ સિટી ખાતે આજે ‘ક્લાઈમેટ-રેઝિલિયન્ટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ વિષય પર બે દિવસીય કોન્ફરન્સનો શુભારંભ થયો છે. ધોરડો ખાતે તા.૦૬ અને ૭ ફેબ્રુઆરીના બે દિવસીય કોન્ફરન્સનું આયોજન નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(NDMA) અને નેશનલ કાઉન્સિલ ફોર ક્લાયમેટ ચેન્જ, સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એન્ડ પબ્લિક લીડરશિપ (NCCSD) દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે.
“ખેતી અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આજીવિકા સુરક્ષિત કરવા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટ અને તૈયારીઓ” વિષય પર પ્રથમ સેશન યોજાયું હતું. આ સેશન દરમિયાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્યશ્રી ડૉ. દિનેશકુમાર અસવાલ એ મુખ્ય વક્તા તરીકે સંબોધન કરતાં આગોતરા આયોજન અંગે ભાર મૂકીને નાગરિકોને આપદાઓના સામનો કરવા તાલીમબદ્ધ બનવા જણાવ્યું હતું. તેઓએ આપદા સમયે ઈવાક્યુએશન કેપિસિટી, સંસાધનોની ઉપલબ્ધતા અને પૂર્વ તૈયારીઓ અંગે માહિતી આપીને NDMA, NIDM, NDRF જેવી શ્રેષ્ઠ આપદા પ્રબંધનની સંસ્થાકીય કામગીરીને બિરદાવી હતી. ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં આપદા વચ્ચે “ઝીરો કેઝ્યુઆલિટી”ના અભિગમને સાકાર કરીને કરાયેલી કામગીરીને તેઓએ પ્રસંશનીય ગણાવી હતી.
કાર્યક્રમના પ્રથમ સત્ર દરમિયાન પ્રાસંગિક ઉદ્બોધન કરતાં NDMAના ડીરેક્ટર શ્રીમતી મૃણાલિની શ્રીવાસ્તવે વિકસિત ભારતના નિર્માણ માટે શ્રેષ્ઠ આપત્તિ વ્યવસ્થાપન પર ભાર મૂક્યો હતો. આ ઉપરાંત તેઓએ માળખાકીય સુવિધાઓના વિકાસમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટને પ્રાથમિકતા આપીને આયોજન કરવા જણાવ્યું હતું.
NCCSD ના ડૉ. કિરીટ શેલતે પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે, ભૂકંપની આપદાઓ બાદ કચ્છનો વિકાસ એ ડીઝાસ્ટર મેનેજમેન્ટની સાથેસાથે પુનઃનિર્માણની પ્રતિબદ્ધતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ડૉ. કિરીટ શેલત એ ક્લાઈમેટ ચેન્જથી આપદાઓથી સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે તેમ જણાવીને
આપદા વ્યવસ્થાપનની સાથેસાથે ટકાઉ વિકાસના મોડેલથી કેવી રીતે વિકસિત ભારત ૨૦૪૭નું નિર્માણ કરી શકાય એ બાબત પર ભાર મૂક્યો હતો. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સફેદ રણની ખારાશ અને ભૌગોલિક પરિસ્થિતિને બદલી શકાય તેમ નહોતી, ત્યાં ખેતી પણ થઈ શકે તેમ નહોતી પણ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી આ વિસ્તાર આજે ગ્લોબલ ટુરિઝમ હબ બન્યો છે. આજે લાખો પ્રવાસીઓના લીધે સ્થાનિક લોકોને રોજગારી મળી છે તેમજ કલા કારીગરીનો વિકાસ થયો છે. આ પ્રકારે જ ભૌગોલિક પડકારોને અવસરમાં પરિવર્તિત કરીને આપદાનો સામનો કરવા, સ્થળાંતર અટકાવવા, આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી આગોતરી જાણકારી નાગરિકો સુધી પહોંચાડવા વગેરે બાબતો પર શ્રી ડૉ. શેલતે ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, કુદરતી આપદાઓ સૌથી વધારે નુકસાન ગ્રામીણ ઈકોનોમી અને ખેતીને પહોંચાડે છે. અત્યાધુનિક ટેકનોલોજીની સાથેસાથે વિવિધ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થાના સંકલનથી આપદાઓને પાર કરીને આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત કેવી રીતે બનાવી શકાય તે બાબતે વિસ્તૃત જાણકારી તેઓએ આપી હતી. તેઓએ આપત્તિ વ્યવસ્થાપનને માત્ર પ્રતિભાવ પૂરતું સીમિત ન રાખીને તેને અટકાવવાની વ્યૂહરચના તૈયાર કરવા જણાવ્યું હતું.
આ બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન વિવિધ ટેક્નિકલ સત્રોમાં તજજ્ઞો દ્વારા કૃષિ અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આબોહવા પરિવર્તનની અસરો ઘટાડવા અંગે ઊંડાણપૂર્વક વિચાર-વિમર્શ કરવામાં આવશે. જેમાં ક્લાઈમેટ ચેન્જ કેવી રીતે કૃષિ અને ખાદ્ય સુરક્ષા, દરિયાકાંઠાના વિસ્તારો અને આજીવિકા વગેરે પર વિપરિત અસર કરે છે તે મુદ્દાઓને આવરી લેવાશે. વધુમાં કુદરતી આપત્તિઓથી થતા આર્થિક નુકસાનને ઘટાડવા માટે વીમા કવચ અને નાણાકીય જોખમ વ્યવસ્થાપનની જરૂરિયાત પર ચર્ચાઓ કરાશે.
સરપંચશ્રી મિયાં હુશેને ધોરડો ગામ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી કેવી રીતે સ્થાનિકકક્ષાએ રોજગારી મેળવીને પશુપાલન, પાણી, આરોગ્ય, ઉર્જા વગેરે ક્ષેત્રે આત્મનિર્ભર બન્યું છે તે બાબતનો પ્રતિભાવ આપ્યો હતો.
કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય વિકસિત ભારત @૨૦૪૭ના લક્ષ્યને પ્રાપ્ત કરવા દરિયાકાંઠાની આજીવિકા અને કૃષિ ક્ષેત્રની સુરક્ષા માટે ડીઝાસ્ટર મેનેજમેન્ટનું રણનીતિક વિઝન તૈયાર કરવાનો છે. આ નવા રોડમેપને રાજ્ય અને રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન યોજનાઓ તેમજ SAPCCs (State Action Plans on Climate Change) માં સામેલ કરવામાં આવશે. જેથી વર્ષ ૨૦૪૭ સુધીમાં ભારતને ક્લાઈમેટ ચેન્જ સામે લડવા સક્ષમ અને સુરક્ષિત ‘વિકસિત ભારત‘ બનાવી શકાય.
આ કોન્ફરન્સ દરમિયાન ભારત સરકારના કૃષિ વિભાગના જોઈન્ટ સેક્રેટરી સુશ્રી એસ.રૂકમણી, ઈન્સ્યોરન્સ ડેવલપમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઈન્ડિયાના સભ્યશ્રી દિપક સૂદ, ઓડીશા એસડીએમના એડીશનલ ડીરેક્ટરશ્રી મનીષ અગ્રવાલ, ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ-ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જના ડેપ્યૂટી સેક્રેટરી સુશ્રી રૂચિકા દ્રાલ, કામધેનુ યુનિવર્સિટીના પૂર્વ વીસીશ્રી એ.આર.પાઠક, જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના રિસર્ચ ડીરેક્ટરશ્રી ડૉ.એ.જી.પાનસુરિયા, ફૂડ એન્ડ એગ્રીકલ્ચરલ ઓર્ગનાઈઝેશનના પ્રતિનિધિશ્રી કોન્ડા ચાવા, ગુજરાતના પૂર્વ પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટશ્રી ડૉ. આર.કે.સમા, નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેક્નોલોજીના વૈજ્ઞાનિક ડૉ. વિજ્યા રવિચંદ્રન, એગ્રોસેલના પૂર્વ રિસર્ચ ડીરેક્ટરશ્રી સુરેશ આચાર્ય, યુએનડીપીના પ્રોજેક્ટ ડીરેક્ટરશ્રી સ્વાતિ રઘુવંશી, એનડીએમએમના પ્રતિનિધિશ્રી શ્વેતા વેદ્ય, એનડીએમના કન્સલ્ટન્ટશ્રી શિશિર અગ્રવાલ સહિત ડૉ. આમીર અલી ખાન, શ્રી સોવિક ડેય, ડૉ.આર.ગોપીચંદ્રન વગેરે તજજ્ઞો, નિષ્ણાંતો, વૈજ્ઞાનિકો અને વિવિધ રિસર્ચ તેમજ શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિશ્રીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.