કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગની નવતર પહેલ: જળ અને જમીન સંરક્ષણ થકી વન્યજીવ સૃષ્ટિનું થશે સંવર્ધન: વન-પર્યાવરણ મંત્રી શ્રી અર્જુન મોઢવાડીયા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં કચ્છના નાના રણ વિસ્તારમાં વન વિભાગ દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શુષ્ક વાતાવરણ માટે જાણીતા આ વિસ્તારમાં પાણીનો સંગ્રહ કરી, જમીનનું ધોવાણ અટકાવી તેમજ વન્યપ્રાણીઓ-પક્ષીઓ માટે આવાસની ગુણવત્તા સુધારવા માટે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઇ મોઢવાડીયાએ જણાવ્યું હતું.
મંત્રી શ્રી મોઢવાડીયાએ વિગતો આપતા કહ્યું હતું કે, કચ્છના નાના રણ વિસ્તારમાં વન્યજીવોના સંરક્ષણ, સંવર્ધન તેમજ પર્યાવરણીય સંતુલન જાળવવા માટે માટી-ભેજ સંરક્ષણ સંબંધિત કામગીરી કરવામાં આવી રહી છે. જે અન્વયે આશરે એક કિ.મી.ના વિસ્તારમાં ત્રણ જેટલા ખાસ પ્રકારના પાળા તૈયાર કરવામાં આવી રહ્યા છે, જેમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. આ કામગીરીના પરિણામે ચોમાસામાં વહી જતા આશરે ૧.૩૫ કરોડ લિટર વરસાદી પાણીનો સંગ્રહ થશે, જેથી શિયાળા સુધી વન્યપ્રાણીઓને કુદરતી રીતે પીવાનું પાણી મળી રહેશે. આગામી બીજા-ત્રીજા વર્ષથી આ પાણી પીવાલાયક બની જશે, જે રણના શુષ્ક વાતાવરણમાં જીવસૃષ્ટિ માટે ‘અમૃત’ સમાન સાબિત થશે.
મંત્રી શ્રી મોઢવાડીયાએ ઉમેર્યું હતું કે, આ પ્રોજેક્ટ માત્ર પાણી બચાવવા પૂરતો નથી, પરંતુ કચ્છના રણમાં એક સંપૂર્ણ ઇકો સિસ્ટમ વિકસાવવાનો પ્રયાસ છે. અહી માટીમાં ભેજનું પ્રમાણ વધવાથી જમીનની ફળદ્રુપતા સુધરશે અને વિવિધ સ્થાનિક ઘાસનો કુદરતી રીતે વિકાસ થશે. જેના પરિણામે વધુ ઘાસચારો ઉપલબ્ધ થશે, તૃણહારી પ્રાણીઓને પૂરતો ખોરાક મળશે અને તેમની સંખ્યામાં સતત વૃદ્ધિ થશે. આ આયોજનથી તળાવ અને જળાશયો એ વન્યજીવો, સ્થાનિક પક્ષીઓ અને દેશ-વિદેશથી આવતા યાયાવર પક્ષીઓ માટે ઉત્તમ આવાસ સાબિતરૂપ થશે. આ ઉપરાંત તળાવની વચ્ચે બનાવવામાં આવેલા ‘માઉન્ટ’ – ટેકરા પક્ષીઓ-પ્રાણીઓ માટે સુરક્ષિત અને આરામદાયક વિશ્રામ સ્થાન બની રહેશે.
વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળીએ આ સંદર્ભે કહ્યું હતું કે, વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવેલા આ પાળાઓ જમીનનું ધોવાણ અટકાવશે અને રણ વિસ્તારમાં ભેજનું પ્રમાણ જાળવી રાખશે. શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં હવામાન પરિવર્તન સામે ટકી રહેવા માટે આ કામગીરી ખૂબ જ મહત્વની સાબિત થશે, જે લાંબા ગાળે જૈવવૈવિધ્ય અને પર્યાવરણીય સંતુલન સુધારવામાં મદદરૂપ થશે. આમ, આ આયોજનથી કચ્છના નાના રણની ઓળખ વધુ સમૃદ્ધ અને પર્યાવરણ પ્રેમી પ્રવાસન ક્ષેત્ર તરીકે પણ ઊભરી આવશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.