તબીબી ભથ્થાનો વિકલ્પ બદલવા માંગતા પેન્શનરોએ તિજોરી કચેરી ખાતે અરજી કરવાની રહેશે
જિલ્લા તિજોરી કચેરી, ભુજ-કચ્છ ખાતેથી પેન્શન મેળવતા તમામ પેન્શનરશ્રીઓને અનુરોધ કરવામાં આવ્યો છે કે, આગામી નાણાંકીય વર્ષ ૨૦૨૬-૨૭ માટે જે પેન્શનરો પોતાના તબીબી ભથ્થા અંગેનો વિકલ્પ બદલવા માંગતા હોય, તેઓએ સમયમર્યાદામાં તિજોરી કચેરી ખાતે અરજી કરવાની રહેશે.
જે પેન્શનરશ્રીઓ હાલનો વિકલ્પ બદલી નવો વિકલ્પ પસંદ કરવા ઈચ્છતા હોય, તેઓએ જિલ્લા તિજોરી કચેરી અથવા પેટા તિજોરી કચેરી ખાતેથી નિયત નમૂનાનું ફોર્મ ‘પરિશિષ્ટ-૧(અ)‘ મેળવી લેવાનું રહેશે. આ ફોર્મમાં જરૂરી તમામ વિગતો આધાર-પુરાવા સહિત વિગતો ભરીને તા. ૧૦/૦૩/૨૦૨૬ સુધીમાં જે-તે કચેરીએ રજૂ કરવાનું રહેશે. આ બાબતે નિયત સમયમર્યાદા એટલે કે ૧૦ માર્ચ, ૨૦૨૬ પછી આવેલી કોઈ પણ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં. જો કોઈ પેન્શનર સમયસર અરજી કરવામાં ચૂકશે, તો તે અંગેની સંપૂર્ણ જવાબદારી જે-તે પેન્શનરશ્રીની પોતાની રહેશે, જેની ખાસ નોંધ લેવા જિલ્લા તિજોરી અધિકારીશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.