ભુજોડી ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૩ કરોડના ખર્ચે વિવિધ ૪ રસ્તાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરાયું

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, હસ્તકલા અને વણાટ કામના કારણે ભુજોડીને દુનિયાના તમામ લોકો જાણતા થયા છે. આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત ભુજોડી કચ્છ અને ગુજરાતનું ગૌરવ છે. ગામના વિકાસનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે, તેઓએ હસ્તકલાને પારખીને દેશ અને દુનિયામાં ઉજાગર કરી છે જેના કારણે દેશના લાખો કારીગરોને લાભ પ્રાપ્ત થયો છે સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભુજોડીની શાલને પણ બળ મળ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, સાંપ્રત સમયમાં દુનિયામાં ભારતને જે ગૌરવભેર સ્થાન મળ્યું છે તેનો શ્રૈય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને જાય છે. આ સાથે તેમણે વિકસિત ભારતની નેમ સાથે હજુ પણ લોકલક્ષી વિકાસના કાર્યો કરવા નેમ વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે કચ્છ મોરબી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર રોડ અને રસ્તાના વિકાસ માટે કટિબદ્ધ છે જે અંતર્ગત જ આજે ત્રણ કરોડથી વધુના 4 રસ્તાઓનું કામ થવા જઈ રહ્યું છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદે જ્યારથી નરેન્દ્રભાઈ મોદીએ સ્થાન મેળવ્યું હતું ત્યારથી લઈને તેમના વડાપ્રધાન બનવા સુધીમાં હસ્તકલાના ક્ષેત્રે ખાસ કરીને કચ્છમાં ગ્રામ્ય સ્તરે વણાટ કામના કેન્દ્ર એવા ભુજોડીને સૌથી વધુ લાભ પ્રાપ્ત થયો છે. આજે ભુજોડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત થઈ છે. કચ્છમાં આવતા મહેમાનોના સ્વાગત માટે કચ્છી શાલની પરંપરા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે શરૂ કરી હતી, જેનો સૌથી વધુ ફાયદો કારીગરોને થયો છે, આ પરંપરા હજુ પણ અવિરત ચાલુ છે. તેમણે આ પ્રસંગે આ વિસ્તારમાં હજુ પણ જરૂરી તમામ વિકાસના કામો કરવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આજના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 4 રસ્તાઓના રિસર્ફેશીંગ કામનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.86.13 લાખના ખર્ચે ભૂજોડી એપ્રોચ રોડ, રૂ.33.46 લાખના ખર્ચે લેર એપ્રોચ રોડ, રૂ .83.22 લાખના ખર્ચે પૈયા એપ્રોચ રોડ તથા રૂ. 95.89 લાખના ખર્ચે નાના બંદરા, મોટા બંદરા રોડનો સમાવેશ થાય છે.
આજના કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી વિનોદભાઈ વરસાણી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી હરિભાઈ જાટીયા, તાલુકા પંચાયત સદસ્યશ્રી લક્ષ્મીબેન જરૂ, મહેશભાઈ માતા, જેનેશ વરૂ, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પારૂલબેન કારા, એપીએમસી ચેરમેનશ્રી શંભુભાઈ જરૂ, આગેવાનશ્રી ધનજીભાઈ ચાવડા, શામજીભાઈ વાણીયા, દિનેશભાઈ ચાવડા, દિનેશભાઈ ઠક્કર, અશોક બરાડીયા, ભુજોડી સરપંચશ્રી શિવજીભાઈ મંગરિયા સહિત આસપાસના ગામોના સરપંચશ્રીઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.