કચ્છમાં ઈંધણનો પૂરતો જથ્થો જાળવી રાખવા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લામાં ડીઝલ અને પેટ્રોલનો પૂરતો જથ્થો અવિરત જળવાઈ રહે તે હેતુથી કચ્છ કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષસ્થાને એક મહત્વપૂર્ણ સંયુક્ત બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, ફિલ્ડ ઓફિસર્સ, એસ.ટી. વિભાગ તેમજ કચ્છ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં સરકારશ્રીની ગાઈડલાઈન અનુસાર ડીઝલનું સુચારુ વિતરણ થાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન ધ્યાને આવ્યું હતું કે હાલમાં કન્ઝ્યુમર પંપ ખાતે ડીઝલના ભાવ રિટેલ પંપ કરતાં વધી ગયા છે. આ પરિસ્થિતિને અનુલક્ષીને કલેક્ટરશ્રી દ્વારા સૂચના આપવામાં આવી છે કે સરકારશ્રીના પરિપત્ર મુજબ કોઈપણ રિટેલ પંપ દ્વારા કન્ઝ્યુમર પંપને ડીઝલનો પુરવઠો આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, રિટેલ પંપ ખાતે ડીઝલનો પુરવઠો જળવાઈ રહે અને બલ્ક સેક્શનના ભાવોમાં ઘટાડો કરવામાં આવે તે માટે વહીવટીતંત્ર દ્વારા રાજ્ય સરકારશ્રી સમક્ષ યોગ્ય રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં આવેલા પોર્ટ પર અમુક મશીનરી સંપૂર્ણપણે ડીઝલ આધારિત જ હોય છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આવા યુનિટ્સનું લિસ્ટિંગ કરીને તેની વિગતો ઓઇલ કંપનીઓને સોંપવામાં આવી છે, જેથી ત્યાં વિના અવરોધે અને સરળતાથી પુરવઠો પહોંચાડી શકાય. ખેડૂતો અને ટેલિકોમ કંપનીઓને ઈંધણનો પુરતો જથ્થો મળી રહે તે માટે કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. વધુમાં, જ્યાં પુરવઠો ન હોવાથી પેટ્રોલ પંપ ડ્રાય થઈ જાય છે ત્યાં દેખરેખ વધારવા માટે પુરવઠા વિભાગને ખાસ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને ખાનગી કંપની ‘નાયરા’ના પેટ્રોલ પંપ ડ્રાય થતા હોવાનું ધ્યાને આવતા વહીવટીતંત્ર વધુ સતર્ક બન્યું છે. કચ્છના આવા ૭૪ પેટ્રોલ પંપો ખાતે વિવિધ અધિકારીશ્રીઓને ફિલ્ડ ઈન્સ્પેક્શન કરીને સપ્લાય ચેઈન જાળવી રાખવા કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે. આ સંયુક્ત બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી. પી. ચૌહાણે પણ ઉપસ્થિત રહીને સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અર્શ હાશ્મી સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ તેમજ ચેમ્બર ઓફ કોમર્સ, બેન્ટોનાઈટ એસોસિએશન, ટ્રાન્સપોર્ટ એન્ડ કન્ટેનર એસોસિએશન, જીએસઆરટીસી સહિત વિવિધ ઔદ્યોગિક એકમો સંબંધિત સંસ્થાઓ ઉપસ્થિત રહી હતી