ભુજ હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ શ્રમદાન કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો

‘૧૨ વર્ષ વિકાસના, વિશ્વાસના, જન કલ્યાણના’ હેઠળ યોજાઈ રહેલા અનેકવિધ કાર્યક્રમો અંતર્ગત આજરોજ ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હેઠળ હમીરસર તળાવ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી તથા શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા, સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાએ ઉપસ્થિત રહી શ્રમદાન કરી નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રીએ નાગરિકોને દૈનિક ધોરણે જેમ ઘરની સફાઈ કરવામાં આવતી હોય તેજ રીતે શહેર તથા આસપાસના વિસ્તારોની સફાઈ બાબતે બારેમાસ સક્રિય બની યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.
આ ઝુંબેશ હેઠળ ઉપસ્થિત ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાએ ‘સ્વચ્છાગ્રહી’ બનવાની હાકલ કરતા નાગરિકોને ‘પ્લાસ્ટિક મુક્ત શહેર’ બનાવવા પ્રેરક સંદેશ આપ્યો હતો. આ સાથે સ્વચ્છતાનો સંદેશ આપતી વોક–વે થી સ્મૃતિવન સુધીની સાયકલોથોનને લીલીઝંડી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, નગરપતિશ્રી શીતલભાઈ શાહ, કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયા, આગેવાનશ્રીઓ દેવજીભાઈ વરચંદ, ફલજીભાઈ ચૌધરી, ધવલભાઇ આચાર્ય, ભીમજીભાઇ જોધાણી, હિતેશભાઈ ખંડોલ, મીત ઠક્કર, ડીઆરડીએના ડાયરેક્ટરશ્રી નિકુંજ પરીખ, પ્રાંતશ્રી અનિલ જાદવ, ભુજ ચીફ ઓફિસરશ્રી ટ્વિંકલ પટેલ, સ્થાનિક કાઉન્સિલરો,વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, સ્થાનિક અગ્રણીશ્રીઓ અને મોટી સંખ્યામાં નગરજનો સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.