કચ્છના ધારાસભ્યશ્રીઓ કેશુભાઈ પટેલ, શ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજા અને અનિરુદ્ધભાઈ દવે દ્વારા વિવિધ વિસ્તારોમાં પોલિયો બુથ ખુલ્લા મુકાયા

 રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે સમગ્ર કચ્છ જિલ્લામાં *”દો બુંદ જિંદગી કે”*ના સંદેશ સાથે પોલિયો રવિવારની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. કચ્છના વિવિધ પોલિયો બુથો પર ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી સઘન રાષ્ટ્રીય અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

          આ અભિયાન અંતર્ગત ગુજરાત સરકારના ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી ત્રિકમભાઈ બી. છાંગાએ અંજાર તાલુકાના આયુષ્માન આરોગ્ય મંદિર, રતનાલ-૧ ખાતે પોલિયો બુથની મુલાકાત લઈ પોતાના હસ્તે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, પોલિયોને સંપૂર્ણપણે નાબૂદ રાખવા માટે દરેક પોલિયો રાઉન્ડમાં ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અત્યંત જરૂરી છે.

          કચ્છ-મોરબીના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા અને ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલે ભુજના જ્યુબિલિ સર્કલ ખાતે આવેલા પોલિયો બૂથની મુલાકાત લઈને પોલિયો રસીકરણનો પ્રારંભ કરાવ્યો‌ હતો.

         કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રભાબેન હુણે અંજાર તાલુકાના ભીમાસર ખાતે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવીને અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તમામ વાલીઓને પોતાના બાળકોને દરેક પોલિયો રાઉન્ડમાં રસીના ટીપાં અચૂક પીવડાવવા અનુરોધ કર્યો હતો.

        અબડાસાના ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાના હસ્તે અબડાસા તાલુકાના મોટી વિરાણી ખાતે પોલિયો બુથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમણે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનને પ્રોત્સાહન આપતાં જણાવ્યું હતું કે, એકપણ બાળક પોલિયો રસીકરણથી વંચિત ન રહે તે સમગ્ર સમાજની સામૂહિક જવાબદારી છે.

         ભુજ તાલુકાના અર્બન હેલ્થ સેન્ટર-૩ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટર શ્રી અનિલ રાણાવાસિયા દ્વારા પોલિયો બુથને ખૂલ્લું મુકવામાં આવ્યું હતું. કચ્છ કલેક્ટરશ્રીએ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી, વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી.

        રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજરોજ માંડવી તાલુકાના ગોધરા ગામે પોલિયો રસીકરણ બુથનું ઉદ્ઘાટન માંડવી-મુન્દ્રાના ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમણે ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તેમજ વાલીઓને પોતાના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવવા અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પોલિયોમુક્ત ભારતના નિર્માણ માટે દરેક બાળક સુધી પોલિયોની રસી પહોંચે તે અત્યંત જરૂરી છે.

        પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત આજે પોલિયો રવિવારના દિવસે રતનાલ ગામના કૃષ્ણા નગર આંગણવાડી કેન્દ્ર ખાતે આવેલ પોલિયો બુથનું ઉદ્ઘાટન સંગઠનના અગ્રણીશ્રી  દેવજીભાઈ વરચંદના હસ્તે કરવામાં આવ્યું હતું. નખત્રાણા તાલુકાના શ્રી આશાપુરા માતાજી મંદિર, માતાના મઢ ખાતે પૂજ્ય રાજાબાવાશ્રીની ઉપસ્થિતિમાં  રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. તેમણે ઉપસ્થિત વાલીઓને પોતાના ૦ થી ૫ વર્ષના દરેક બાળકને પોલિયોના બે ટીપાં અચૂક પીવડાવવા અપીલ કરી હતી.

        આ પોલિયો રસીકરણ અભિયાનમાં જિલ્લા અને તાલુકા કક્ષાના આગેવાનો, આરોગ્ય કેન્દ્રની ટીમો, સરપંચશ્રી તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને અભિયાનને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો.

         આ પ્રસંગે વાલીઓને અપીલ કરવામાં આવી હતી કે, પોતાના ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને નજીકના પોલિયો બુથ પર લઈ જઈ પોલિયોના બે ટીપાં અવશ્ય પીવડાવે. કોઈપણ બાળક રસીકરણથી વંચિત ન રહે તે માટે સમગ્ર જિલ્લામાં પોલિયો બુથો ઉપરાંત મોબાઇલ ટીમો તથા ટ્રાન્ઝિટ ટીમો દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

          જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જણાવાયું હતું કે, પોલિયોમુક્ત સમાજના નિર્માણ માટે દરેક બાળક સુધી પોલિયોના બે ટીપાં પહોંચે તે અત્યંત જરૂરી છે. આ અભિયાનને સફળ બનાવવા તમામ વાલીઓ અને નાગરિકોને સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

         આ ઉપરાંત પાલિકા પ્રમુખશ્રી શીતલભાઈ શાહ, ટ્રક એસોસિએશન પ્રમુખ ડૉ. નવઘણભાઈ આહિર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ભંડેરી, RCHO અધિકારીશ્રી કચ્છ,‌ ગુણવત્તા તબીબી અધિકારી (QMO) ડૉ. અમીન અરોરા, રોટરી ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી કે. એ. શ્યામકુમાર, તાલુકા આરોગ્ય અધિકારી (THO) ડૉ. રવિ બાવરવા, રોટરી ક્લબના શ્રી પ્રફુલ્લભાઈ ઠક્કર તથા રોટરી ટીમ, આરોગ્ય વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.