સેનાઓ સજ્જ : પાકને રાજનાથસિંહની ચેતવણી

ભારત ઇનોવેશનના માર્ગ શોધે છે, તો પાકિસ્તાન ઘૂસણખોરીના રસ્તા શોધે છે, તેવા પ્રહાર દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કારગિલ વિજય દિવસની 27મી વર્ષગાંઠ નિમિત્તે કર્યા હતા. રાજનાથે રવિવારે કહ્યું હતું કે, ભારત દેશ સેમિકંડક્ટર બનાવે છે, તો પાકિસ્તાન આત્મઘાતી બોમ્બર બનાવી રહ્યું છે. સ્પષ્ટ છે કે, અમારા રસ્તા અલગ છે, ત્યારે પાક પોતાના છીછરા ઇરાદા સાથે અમારા માર્ગમાં વિઘ્ન સર્જશે તો જડબાંતોડ જવાબ દેવા ભારતની સેનાઓ તૈયાર છે, તેવી ચેતવણી પણ પાકને આપી હતી. સંરક્ષણ મંત્રીએ લદ્દાખના દ્રાસમાં કારગિલ યુદ્ધ સ્મારક પર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ સ્પષ્ટ જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથે કોઇ વાતચીત નહીં થાય. જો વાતચીત થશે પણ તો માત્ર પાક કબજાગ્રસ્ત કાશ્મીર પર થશે જે ભારતનો અભિન્ન ભાગ છે અને જેના પર પાકિસ્તાને ગેરકાનૂની કબજો કરી રાખ્યો છે, તેવું રાજનાથે જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, શહીદોમાં મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, ચર્ચ જતા તમામ ધર્મના જવાનો સામેલ છે.