14 ઓગસ્ટે થયેલા દેશના ભાગલા નહીં ભુલાય:મોદી

ભારત દેશ 14મી ઓગસ્ટને `વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ રૂપે યાદ કરી, એ લાખો લોકોને અંજલિ આપે છે, જેમણે 1947ના ભાગલા દરમ્યાન જીવ ખોયા. આ અવસરે શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ભાગલાનું દર્દ નહીં ભુલાય તેવું કહીને ભાવુક થયા હતા. ભાગલા વખતે પોતાના સ્વજનો ખોનાર અને પોતાનાં ઘર છોડવાની લાચારી વેઠનાર લોકોના સંઘર્ષને યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, અકથ્ય પીડા, સંઘર્ષ પછી પણ લોકોએ પોતાનું જીવન શૂન્યથી શરૂ કર્યું. ભાગલાની વેદના વેઠનાર લોકોએ દેશની પ્રગતિમાં મહત્ત્વનું યોગદાન આપ્યું. પરિવારો વિખેરાઇ ગયા હતા, તેવું મોદીએ કહ્યું હતું. વડાપ્રધાને જણાવ્યું હતું કે, સંઘર્ષભર્યા વિકટ સંજોગોને ભાગલા વખતે લોકોએ પોતાની તાકાત બનાવી અને કઠણાઇઓને સફળતામાં બદલી. મોદીએ ભાગલાગ્રસ્ત લોકોની જીવનયાત્રાને માનવીય જુસ્સો અને સાહસનું ઉદાહરણ લેખાવી હતી અને જણાવ્યું હતું કે, દેશની નવી પેઢી તેમાંથી પ્રેરણા લઇ શકે છે. વડાપ્રધાને દેશવાસીઓને સામાજિક સદભાવ અને ભાઇચારાની ભાવના મજબૂત કરી, વિકસિત ભારતનું લક્ષ્ય સાકાર કરવા અપીલ કરી હતી.