કચ્છના પૂર્વ TDOનું દુઃખદ અવસાન: ગીર સોમનાથના અધિકારી સુનિલ ચૌધરીનું રાજકોટમાં નિધન, તંત્રમાં શોક

કચ્છ સાથે સીધો નાતો ધરાવતા એક નિષ્ઠાવાન અધિકારીના અવસાનના સમાચારથી વહીવટી તંત્રમાં શોકની લાગણી ફેલાઈ છે. ગીર સોમનાથ જિલ્લા પંચાયતના DRDA વિભાગમાં મદદનીશ પ્રયોજના અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સુનિલ ચૌધરી નું રાજકોટ ખાતે સારવાર દરમિયાન અવસાન થયું છે. શ્રી ચૌધરી કચ્છવાસીઓ માટે જાણીતું નામ છે. તેમણે કચ્છના બે મહત્વના તાલુકા ગાંધીધામ અને અબડાસામાં TDO તરીકે સફળતાપૂર્વક ફરજ બજાવી હતી. તેમના કાર્યકાળને આજે પણ લોકો યાદ કરે છે.પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ એક આકસ્મિક ઘટનામાં ભૂલથી એસિડ પીવાઈ જવાથી તેમની તબિયત અત્યંત ગંભીર બની હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા. મામલતદાર સમક્ષ નોંધાયેલા નિવેદનમાં તેમણે આ ઘટના ભૂલથી બની હોવાનું જણાવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ અંગે સંબંધિત વિભાગ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.