કચ્છમાં ડેંગ્યુનો ભય બતાવી ખાનગી હોસ્પિટલો દર્દીઓને ખંખેરે છે, જિલ્લા આરોગ્ય અધિકારીનું ખળભળાટ સર્જતું નિવેદન

કચ્છભરમાં ડેંગ્યુની મહામારી અને શંકાસ્પદ મોતને પગલે લોકોમાં ડેંગ્યુનો હાઉ બેસી ગયો છે. જોકે, ડેંગ્યુને કારણે વણસેલી પરિસ્થિતિ પછી સરકાર જાગી અને નેતાઓને તેમ જ અધિકારીઓને લોકોની વચ્ચે મોકલાવ્યા તો છે, પણ હવે ખૂબ મોડું થઈ ગયું છે. આજે ભુજ અને સુખપરમાં લોકસંપર્ક કરાયો ત્યારે મીડીયા સાથે વાત કરતાં રાજયમંત્રી વાસણભાઇ આહીરે જણાવ્યું હતું કે, ડેંગ્યુના ઉપદ્રવ સામે સરકાર અને તંત્ર સજ્જ છે. શ્રી આહીરે લોકોને ડેંગ્યુ ફેલાતો અટકાવવા જાગૃતિ કેળવવા અપીલ કરતાં જણાવ્યું હતું, કે જ્યાં જ્યાં પાણી ભરેલા ખાડા હોય કે ઘરમાં પાણી ભરેલા વાસણો હોય, આ પાણીનો નિકાલ કરી નાખવો જોઈએ. જોકે, મીડીયા સાથે વાત કરતાં જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે ખળભળાટ સર્જતા કરેલા નિવેદને કચ્છની તબીબી આલમ સામે સવાલો ઉભા કરીને લોકોમાં થતી વાતોને વાચા આપી દીધી હતી. દઈએ ડીએચઓ ડો. કન્નરે ડેંગ્યુનો ‘હાઉ’ બતાવીને દર્દીઓના ભયનો લાભ મેળવી ખાનગી હોસ્પિટલના તબીબો દ્વારા સારવાર માટે દર્દી પાસેથી ૮ થી ૧૦ હજાર રૂપિયા ખંખેરી લેવામાં આવતા હોવાનો ધડાકો કર્યો હતો. સાથે સાથે ડેંગ્યુની સારવારના નામે દર્દીઓ પાસેથી ખંખેરવામાં આવતી હજારો રૂપિયાની ફી અંગે જો લોકોની ફરિયાદો આવશે તો પગલાં ભરવાની ચીમકી પણ આપી હતી. જો લોકોની વાત માનીએ તો આરોગ્ય અધિકારી ડો. કન્નરે વાસ્તવિક્તા કહી દીધી છે. પણ, મુખ્ય મુદ્દો એ જ છે કે, મોંઘા મોંઘા ચાર્જ દ્વારા વસૂલવામાં આવતી ફીને અંકુશમાં લેવા માટે જિલ્લાના આરોગ્ય અધિકારી અને તેનું તંત્ર માત્ર નિવેદન આપી કામ કરવાનો સંતોષ મેળવવાને બદલે એક્શન લે તે જરૂરી છે ખાનગી હોસ્પિટલમાં તબીબોની તપાસવાની મોંઘી ફી, લેબોરેટરી ટેસ્ટના મો માંગ્યા પડાવતા વધુ રૂપિયા, સતત ગ્લુકોઝ બોટલ ચડાવવી તેમ જ દવાઓનું મોંઘું મેડિકલ બિલ આ બધાનો ચાર્જ વસુલતી હોસ્પિટલો મોટાભાગે પાકું બિલ કે રસીદ આપતી નથી, તો દર્દીઓ પણ આ બાબતે (મેડીકલેઇમ સિવાય) ઉપેક્ષિત વલણ દાખવે છે