ભચાઉના શિકારપુર વિસ્તારમાં આજે મંગળવારે સવારે સાડા સાત વાગ્યાના અરસામાં અઢાર વર્ષીય યુવાને તીક્ષ્ણ હથિયારથી રહેંસી નાંખવામાં આવ્યો હતો. ત્યારબાદ હત્યારાઓએ તેના મૃતદેહને ગામના ચોકમાં રાખી દીધો હતો. આ મામલે પ્રેમ પ્રકરણમાં હત્યા થઈ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.કેટલાક શખ્સોએ શિકારપુરમાં ક્રિપાલસિંહ જાડેજા નામના 18 વર્ષીય યુવાનને ઘાતક હથિયારો સાથે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારબાદ તેના મૃતદેહને ગામના ચોકમાં ફેંકી દીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને લાશને પીએમ માટે પંચનામું કરીને ખસેડ્યો હતો.હત્યારાઓ યુવાનને રહેંસી નાખીને ફરાર થઈ ગયા હતા. જ્યારે તેના મૃતદેહને ચોકમાં ફેંકતા ઘટનાની પોલીસને જાણ કરાઈ હતી. આ મામલે પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફરીયાદ લેવાની પ્રક્રિયા અને તપાસની તજવીજ શરૂ કરી હતી. તપાસ ચાલુ હોવાથી આ મામલે પોલીસ કંઈ વધુ ફોડ પાડ્યો નથી. આંતરિક સુત્રોના અનુસાર પ્રેમ પ્રકરણમાં યુવાનની જિંદગીનો કરુણ અંજામ આવ્યો છે. હત્યાના બનાવને પગલે ગામમાં ડરનો માહોલ છે.