રકારે કચ્છને નર્મદા યોજના આગળ ધપાવવા માટે બજેટમાં રકમ ફાળવી છે, પરંતુ તેનાથી અબડાસા વિધાનસભા બેઠક વિસ્તારમાં આવતા છેવાડાના ત્રણ તાલુકાને કેટલો ફાયદો થશે? તેવો સવાલ ગૃહમાં ઉઠાવ્યા બાદ હવે કોંગ્રેસના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ત્રણ દિવસમાં આ વિસ્તારના પ્રશ્નો નહીં ઉકેલાય તો વિધાનસભા પરિસરમાં ગાંધીચિંધ્યા માર્ગે અચોક્કસ મુદ્દતના ઉપવાસ પર બેસી જવાની ચિમકી આપી છે.કચ્છના અબડાસા તાલુકાના પ્રશ્નો રજૂ કરતા કોંગ્રેસના ધારાસભ્ય પી.એમ.જાડેજાએ જણાવ્યું છે કે, ખેડૂતોને ખેતી માટે નર્મદાનું પાણી પહોંચાડવા, નખત્રાણાની જીએમડીસી કોલેજ ગ્રાન્ટેડ કરવા, મકાનો પંચાયત આકારણીમાં ચડાવવા, સ્થાનિક યુવાનોને બહારથી આવેલા મહાકાય ઉદ્યોગોમાં નિયમ પ્રમાણે પુરતી રોજગારી આપવા, નખત્રાણામાં નવો બાયપાસ રોડ બનાવવા તથા અબડાસા વિધાનસભા વિસ્તારના યોગ્ય અને સમતોલ વિકાસ માટે બજેટમાં નાણા ફાળવવા લેખિતમાં રજૂઆતો કરી હતી. વિરોધપક્ષના નેતા દ્વારા પણ નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી, મહેસુલ મંત્રી વગેરેને રજૂઆતો કરાઈ હતી. પરંતુ આજ સુધીમાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે આ પ્રશ્નો હલ કરવા નક્કર કાર્યવાહી કરીને વિભાનસભા ગૃહમાં તેની જાહેરાત કરવાની માગણી કરતા વિભાનસભા પરિસરમાં ઉપવાસ પર બેસવાની મંજૂરી પત્રમાં માગવામાં આવી છે.