કચ્છના માતાના મઢ પાસે એક એવી સાઇટ મળી છે, જેનાં પ્રાથમિક સંશોધનમાં સામે આવ્યું છે કે, મંગળ ગ્રહ જેવી જ જેરોસાઇટ અહીં આવેલી છે. આ સાઈટનાં સંશોધન દરમિયાન મંગળ ગ્રહનાં અનેક રહસ્યો ઉકેલવામાં સફળતા મળશે. અમેરિકાની સ્પેસ એજન્સી NASA ખુદ કચ્છ યુનિવર્સિટીના જિયોલોજીસ્ટ્સની મદદથી તેનાં પર અભ્યાસ કરી રહ્યું છે. મંગળ ગ્રહ પરની તસવીર અને પ્રાથમિક સંશોધન પછી નાસા અને ઇસરોએ કરેલાં અભ્યાસ બાદ સામે આવ્યું છે કે, જે પ્રકારની જમીન મંગળ પર છે તેવી જ જમીન કચ્છના માતાના મઢ નજીક પણ આવેલી છે. અહીંની જેરોસાઇટ અકીલા સંશોધન માટે ખુબ અગત્યની છે. અને મંગળ પર થનાર સંશોધન પહેલાં અહીં નાસા દ્રારા થનારો અભ્યાસ ખુબ અગત્યનો રહેશે. કચ્છ યુનિવર્સિટીનાં જિયોલોજીસ્ટ મહેશ ઠક્કર કહે છે કે, મંગળ અને માતાના મઢ નજીક મળેલ સાઇડ ખુબ સામ્યતા ધરાવે છે અને ભવિષ્યના મંગળ ગ્રહ પરના સંશોધન પહેલાં લેન્ડિંગ પોઇન્ટ પાણીના અવશેષો સહિતનાં મુદ્દે થનાર સંશોધન ખુબ રોચક રહેશે. કચ્છ યુનિવર્સિટીનાં જિયોલોજીસ્ટ વિભાગના પ્રોફેસર ભંડેરી જણાવે છે કે, આ ખુબ મહત્વનું સંશોધન છે. 2015માં પ્રથમવાર ઇસરોની તસ્વીરના આધારે સંશોધન બાદ નાસાએ અહીં સંશોધન માટેની વાત કરી હતી. હાઇડ્રોસ સલ્ફેટ ઓફ પોટેશિયમ, લોહતત્વ, ઘટકોની બનેલી જેરોસાઇટ મંગળ ગ્રહને મળતી છે. જેનાં પર વોશિંગ્ટન યુનિવર્સિટી અને નાસાના વૈજ્ઞાનિક સંશોધન કરી રહ્યા છે. અને તેના પૂર્ણ અભ્યાસ પછી ઘણી નવી બાબતો સામે આવશે. વૈજ્ઞાનિકોનો દાવો એવો પણ છે કે, બેસાલ્ટ ટેરેઈનમાં પૃથ્વી પર માતાનામઢ એક માત્ર એવું સ્થળ છે જ્યાં જેરોસાઇટ મળી આવ્યું છે. IIT ખડગપુર, ઈસરો અને નેશનલ જિયોફિજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હૈદરાબાદ આ વિષય પર સંયુક્ત અભ્યાસ હાથ ધરશે તેવું જાણવા મળ્યું છે. આ સંશોધનથી તેઓ મંગળ ગ્રહ પર પાણીનું અસ્તિત્વ અને સદીઓ પહેલા વાતાવરણમાં ફેરફાર કારણે મંગળ ગ્રહ પર શું બદલાવ થયા હતા, તેના સંશોધન માટે કામ લાગશે. નાસાના છ વૈજ્ઞાનિકો તાજેતરમાં સંશોધનને લઈને કચ્છ આવીને ગયા છે. આ અભ્યાસથી ભવિષ્યના નાસા અને ઇસરોના મિશન મંગળ દરમ્યાન કઈ જગ્યાએ લેન્ડિંગ સાઈટ નક્કી કરવી તેના પર માતાનામઢનો અભ્યાસ મહત્વનો સાબિત થશે.