સેફવાળા બેટ પરથી વધુ 21 ચરસનાં પેકેટ મળી આવ્યા


ભુજ: કચ્છના દરિયા કિનારે, ટાપુઓ તેમજ ક્રીક વિસ્તારમાંથી ચરસનાં પેકેટ મળવાનો સિલસિલો બરકરાર છે. પોલીસ તેમજ બીએસએફના જવાનો પેટ્રોલિંગમાં હતા ત્યારે નારાયણ સરોવર વિસ્તારમાંના સેફવાળા બેટ પરથી 21 ચરસના પેકેટ મળ્યા હતા. જેમાંના 3 પેકેટ દરિયાના મોજાંથી થપાટોથી તૂટેલાં હતાં. આ અંગે નારાયણ સરોવર પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત માહિતી અનુસાર નારાયણ સરોવર પોલીસ તેમજ સીમા સુરક્ષા દળના જવાનો દરિયાઇ પેટ્રોલિંગમાં હતા ત્યારે સેફવાળા બેટમાંથી 21 ચરસના પેકેટ બિનવારસુ રઝળતી હાલતમાં પડેલા મળ્યા હતા. આમાંના ૩ પેકેટ સંભવત દરિયાના મોજાંથી તૂટી જતાં અડધા-પડધા ખાલી મળ્યા હતા. અગાઉ મળેલા ચરસ જેવા પેકિંગ ધરાવતા આ પેકેટસને પૃથકકરણ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી દેવાયાં છે. આ સર્ચ ઓપરેશનમાં સીમા સુરક્ષાદળના જવાનો અને નારાયણ સરોવર પોલીસના એએસઆઇ આદમ સુમરા તથા સ્ટાફ જોડાયો હતો.