શનિ બજાર બંધ કરાવવા ગયેલા પાલિકાના કર્મીને માર મરાયો

ગાંધીધામ: કોરોનાના પગલે સામાજિક અંતર જળવાય તે માટે અને ભીડ ન થાય તે માટે વિવિધ પગલા ભરવા સૂચના આપવામાં આવી છે. ગાંધીધામમાં સુંદરપુરીની માર્કેટ મામલતદાર કચેરીએ ખુલ્લા મેદાનમાં ખસેડવામાં આવી હતી. ભરચક વિસ્તાર એવા શનિ માર્કેટ બંધ કરી દેવાની સાથે અન્ય એક માર્કેટ પણ બંધ કરાવી દીધી હતી. દરમિયાન શનિ માર્કેટમાં બજાર ભરાતી હોવાની ફરીયાદના આધારે પાલિકાના કર્મચારીએ સૂચના આપવા જતાં બજાર ભરાઇ હતી ત્યાં કોઇ રીક્ષા વાળાએ પાલિકાના કર્મચારીને માર માર્યો હોવાની ઘટના બહાર આવી છે. જોકે, આ બાબતે પોલીસ ચોપડે હજુ સુધી કાર્યવાહી ચડી નથી. પરંતુ પાલિકાએ પોલીસનું ધ્યાન દોરવા માટે તજવીજ હાથ ધરી છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રાંત ઓફિસર દ્વારા શનિ માર્કેટ બંધ કરવા માટે પાલિકાને આદેશ કર્યો હતો. આદેશના પગલે પાલિકા દ્વારા કોરોના ગાઇડલાઇન મુજબ જરૂરી તકેદારીના પગલા ભરવા માટે કવાયત હાથ ધરી હતી. વર્ષોથી ભરાતી શનિ માર્કેટ બંધ કરાવી દેવામાં આવી હતી. આમ છતાં આ માર્કેટ ચાલુ હોવાથી બંધ કરાવવા ગયેલા પાલિકાના કર્મચારી સાથે રકઝક થઇ હતી. રકઝકની સાથે કોઇ રિક્ષા ચાલક દ્વારા પાલિકાના કર્મચારીને માર પણ માર્યો હોવાની ઘટના બહાર આવી હોવાની વાત બહાર આવી છે.