ફોર્ચ્યુનર કારની ચાવી લઈ લેતા પૌત્રએ દાદાની હત્યા કરી નાખી


આ અંગે મળતી માહિતી અનુસાર કામરેજ તાલુકાના કોસમાડા ગામે આહીર ફળિયામાં રહેતા વલ્લભભાઈ છનાભાઇ આહીર (72) નાઓ હાલ નિવૃત્ત જીવન ગુજારતા હતા. તેઓની કોસમાડા ગામે જમીન આવેલ છે. જે જમીનમાંથી 21 ગુંઠા જેટલી જમીન બુલેટ ટ્રેનના પ્રોજેકટમાં સંપાદન થઈ હતી. સંપાદન થયેલ જમીનના 2.12 કરોડ રૂપિયા વળતર મળેલ હતું. જેમાં 1.21 કરોડ વલ્લભભાઈને મળેલ જ્યારે બાકીના 1.21 કરોડ તેમના નાનાભાઈ ગોવિંદભાઈને મળ્યા હતા. આ રકમ તેમના બેક એકાઉન્ટમાં જમા થઈ હતી. વલ્લભભાઈ અને તેમની પત્ની એક વર્ષ અગાઉ પનામા ખાતે તેમના પુત્ર વિજયભાઈને ત્યાં ફરવા માટે ગયા હતા. એકાઉન્ટમાં આવેલ બુલેટ ટ્રેનના 1.21 કરોડ રૂપિયા કોસમાડા ગામે બેન્ક ઓફ બરોડા ગ્રામીણ બેન્કમાં તેમના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના હોય જેથી તેમણે તેમના પુત્ર ભરતભાઈનો દીકરો સાહીલ (ઉ.વ.-28)ને જણાવ્યુ હતું. અને સાહીલને કોરા ચેકો આપ્યા હતા. પરંતુ સાહિલે આ રકમ દાદાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના બદલે પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા.
ત્યારબાદ સાહિલે આ રકમ માંથી દાદાની જાણ બહાર ફોર્ચ્યુનર કાર જીજે-05-આર.એલ-8797 ખરીદી હતી. દાદા પનામાથી પરત ઘરે આવતા તેમને ઘટનાની જાણ થતાં જ બંને વચ્ચે અંદરો અંદર ઝગડો થતો હતો. ત્યારબાદ દાદાએ પૌત્રને વાળ કપાવવા લઈ જવાનું કહેતા પૌત્ર ન લઈ જતાં. દાદાએ કારની ચાવી લઈ લીધી હતી. જે વાતની અદાવત રાખી સાહિલે દાદા સાથે ઝગડો કરી લાકડીના ફટકા મારતા ઇજાગ્રસ્ત વલ્લભભાઈને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.