હમીરસર સાથે ભુજ પાલિકાની તિજોરી પણ છલકાઈ , સોમવારે રજા છતા પાલિકાએ એક જ દિવસમાં વિક્રમી 43 લાખ વેરા વસુલ્યા


ભુજનું હાર્દ સમું હમીરસર તળાવ છલકાઈ જવા સાથે ભુજ પાલિકાની તિજોરી પણ કરવેરાની વિક્રમી વસૂલાત સાથે છલકાઈ હતી. ભુજ નગરપાલિકાએ સોમવારે રજાના દિવસે વેરા વસુલાત ચાલુ રાખી હતી, જેમાં એક જ દિવસમાં 43 લાખ રૂપિયાની વસુલાત કરી હતી. ટેક્સ સુપ્રિન્ટેન્ડેન્ટ હિતેન્દ્રસિંહ જાડેજાએ વિશેષ માહિતી આપતા જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારી કોરોના કોવિડ-19 વાયરસના સંક્રમણને રોકવા લોક ડાઉનનો નિર્ણય લેવાયો હતો, જેથી ધંધા રોજગાર ઉપર માઠી અસર થઈ છે. જેને ધ્યાને લઈ રાજ્ય સરકારી આત્મ નિર્ભર યોજના હેઠળ ચાલુ હિસાબી વર્ષ 2019/20માં 31મી ઓગસ્ટ સુધી કોમર્સિયલ મિલકત ધારકો વેરો ભરી જાય તો 20 ટકા રાહતનો નિર્ણય લીધો હતો. જેનો વધુને વધુ વેપારીઓ લાભ લઈ શકે એ માટે રજાના દિવસે પણ કાઉન્ટર ખુલા રાખવામાં આવ્યા હતા.
સોમવારે હમીરસર ઓગની જતા વધાવાયું હતું. જેની રજા રાખવામાં આવી હતી. પરંતુ, સોમવારે પણ વેરા વસુલાત ચાલુ રાખી હતી અને એક જ દિવસમાં 43 લાખ 1 હજાર 131 રૂપિયાની વસુલાત થઈ હતી. જે વિક્રમી રકમ છે. જોકે, એ રકમમાં કોમર્સિયલ ઉપરાંત, વ્યવસાય વેરો, દુકાન ભાડું અને અન્ય વેરાનો પણ સમાવેશ થાય છે.