જરૂ ગામની સીમમાં પ્રેમીપંખીડાએ સજોડે આત્મહત્યા કરી લેતાં ચકચાર

copy image

અંજાર તાલુકાના સતાપર ગામે રહેતા પ્રેમીપંખીડા ગત સોમવારના ઘેર કોઈને જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. તેવામાં આજે સાંજ પહેલાં કોઈ પણ સમયે જરૂ ગામની રાતા તળાવ સીમમાં બાવળની ડાળીમાં એક જ દુપટ્ટો બાંધી સજોડે બંનેએ આત્મહત્યા કરી લેતાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી ગઈ છે.અંજાર પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ આજે સાંજના ૬ઃપ૦ વાગ્યાના અરસામાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. તાલુકાના સતાપર ગામે રહેતો કિશન શંકર ઠાકોર (ઉ.વ.રપ) તથા મિત્તલબેન ભુરા સામળિયા (ઉ.વ.ર૦) જેઓ ગત સોમવારના કોઈ પણ સમયે ઘેર કોઈને કાંઈ જાણ કર્યા વિના ક્યાંક ચાલ્યા ગયા હતા. બંને મોડે સુધી પરત ન ફરતાં પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી.બંનેની શોધખોળ દરમિયાન આજે સાંજ પહેલાં કોઈ પણ સમયે યુવાન અને યુવતી અંજાર તાલુકાના જરૂ ગામની રાતા તળાવ સીમમાં ગયા હતા અને બાવળની ડાળીમાં દુપટ્ટો બાંધી બંનેએ સજોડે ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો. યુવાન અને યુવતીએ સજોડે આત્મહત્યા કરી લીધાની જાણ થતાં અંજાર પોલીસ કાફલો બનાવસ્થળે દોડી ગયો હતો અને હતભાગીના મૃતદેહનો કબજો મેળવી પીએમની કાર્યવાહી હાથ ધરી હતી. જે અંગે અંજાર પીઆઈ એ. જી. સોલંકીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, યુવાન અને યુવતી ગત સોમવારના ઘેરથી ક્યાંક ચાલ્યા ગયા હતા. ત્યારબાદ રાતા તળાવની સીમમાં જઈને બંનેએ સજોડે આત્મહત્યા કરી લીધી હતી. પ્રેમીપંખીડાનાં મોતના બનાવ અંગે અંજાર પોલીસે નોંધ દર્જ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.