નખત્રાણા ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ અંતર્ગત જિલ્લામાં ૫૭૩ આવાસોના ખાતમુહૂર્ત અને ૭૨ આવાસોના લોકાર્પણ કરાયા

ભુજ,શનિવાર;
પાંચ વર્ષ આપણી સરકારના સૌના સાથ સૌના વિકાસના અંતર્ગત આજરોજ નખત્રાણા ખાતે વિકાસદિવસ કાર્યક્રમ દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિકાસદિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ તકે પંચાયત વિભાગની વતન પ્રેમ યોજનાનો ઈ-શુભારંભ કરાવ્યો હતો. તેમને કેન્દ્રમાંથી રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે નિર્મિત માંડવીમાં આવેલા ઐતિહાસિક રૂકમાવતીપુલનું ઈ-લોકાર્પણ કર્યું હતું. નખત્રાણા ઉમા વિદ્યાલય ખાતે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ જિલ્લામાં ૫૭૩ આવાસોના ખાતમુહૂર્ત અને ૭૨ આવાસોની આવાસ યોજના લાભાર્થીને ચાવી અર્પણ કરવામાં આવી હતી.
આ લોકાર્પણ કાર્યક્રમમાં ચેરમેન અશોકભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે,’ પોતાનું ઘર હોય એ દરેકના સ્વપ્નને સરકાર સાકાર કરવા પ્રતિબધ્ધ છે. પ્રધાનમંત્રીએ આઝાદીનાં ૭૫ વર્ષ પૂર્ણ થતા દરેકને આવાસ મળે આ કરેલા સંકલ્પને રાજ્ય સરકાર સાકાર કરી રહી છે.તેમણે આ તકે વધુમાં જણાવ્યું હતું કે,” આ યોજના અંતર્ગત જિલ્લામાં રૂ.૨૪.૫૬ કરોડના ખર્ચે ૧૦૭૭ આવાસનું બાંધકામ પૂર્ણ થયેલ છે. તેમણે પ્રધાનમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અન્વયે વધુ લાભ લેવા જણાવ્યું હતું તેમજ પશુપાલનમાં મળતી યોજનાઓ અને સાત પગલાં ખેડૂત કલ્યાણના યોજના જેવી વિવિધ યોજનાઓનો વધુ લાભ લઇ આર્થિક વિકાસ કરવા જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક હનુમંતસિંહ જાડેજાએ આ કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, વિકાસ દિન નિમિત્તે રાજ્યમાં આ સાથે 33 જિલ્લામાં અને ૮ નગરપાલિકામાં ૪૧ જેટલા કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે જે પૈકી કચ્છ જિલ્લામાં માંડવી ખાતે રુક્માવતી બ્રીજનું લોકાર્પણ ,રતનાલ આરટીઆઇ, નખત્રાણા બસ ડેપોને પાંચ બીએસએફ બસ લોકાર્પણ કરાશે તેમજ નખત્રાણામાં બેરુ ૬૬ કે.વી. સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિકાસદિવસ નિમિત્તે આજરોજ માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રૂ.૧૩.૨૮ કરોડના ખર્ચે નિર્મિત ઐતિહાસિક રૂકમાવતીપુલનું ઇ- લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમીત શાહે કર્યું હતું તેમજ રૂપિયા રૂ.૭.૧૯ કરોડના ખર્ચે રતનાલ આરટીઆઇનું અંજાર તાલુકાના પંચાયત પ્રમુખ રાજીબેન શંભુભાઈ હુંબલની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું હતું. તેમજ ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં રૂ.૪૭૩ લાખના ખર્ચે બેરુ ૬૬ કે.વી. સબસ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું . ગૃહમંત્રી અમીત શાહે આ તકે આજરોજ પંચાયત વિભાગની વતનપ્રેમી યોજનાનો પોર્ટલ મારફતે પ્રારંભ કરાવ્યો હતો. આ યોજનામાં વિદેશમાં વસતા વતનપ્રેમીઓનો વિકાસકામમાં ૬૦ ટકા અને સરકારના ૪૦ ટકા ભાગીદારીથી જનવિકાસના કામો કરાશે. ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા વર્ચ્યુલ વિકાસ દિવસ કાર્યક્રમમાં પણ સૌ જોડાયા હતા.
આ તકે આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઈ જોશીએ કરી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર વિભાગ દ્વારા નખત્રાણા બસ ડેપોને આપેલી ૫ બીએસએફ બસોને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ તકે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારા, અગ્રણી કેશુભાઈ પટેલ, હિતેશભાઈ ચૌધરી, તાલુકાપંચાયત પ્રમુખ જયેશભાઈ પટેલ, કલેકટરશ્રી પ્રવિણા ડી.કે, જિલ્લા વિકાસ અધિકારી ભવ્યવર્મા, નખત્રાણા નાયબ કલેક્ટર મેહુલ બરાસરા, નાયબ તાલુકા વિકાસ અધિકારી ગોસ્વામી, મામલતદાર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક હનુમંતસિંહ જાડેજા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અન્ય સર્વશ્રી અભિષેક ઝાલા, મહેશ ચાવડા, પટ્ટ્ણીભાઈ,મીતાબેન દેસાઇ તેમજ સંબંધિત યોજનાઓના કરમયોગીઓ , લાભાર્થી ભાઈ-બહેનો અને સમાજના અગ્રણીઓ કોરોના ગાઇડ લાઇનને સાથે ઉપસ્થિત રહ્યા હતા .