ગુજરાતમાં ૨૦ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવાશે જેથી પ્રવાસનને વધુ વેગ મળશે

કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે રાવળપીર માંડવી ખાતે આવેલા નવનિર્મિત લાઇટ હાઉસનું લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારના લાઇટ હાઉસીસ અને લાઇટ શિપ્સ વિભાગ દ્વારા દરિયા કિનારાના વિસ્તારોમાં અનેક સુરક્ષાના અને વિકાસના કામો કરવામાં  આવે છે જે અન્વયે રૂ.૪ કરોડના ખર્ચે માંડવીથી નજીક આવેલા રાવળપીર મંદીર તીર્થસ્થાન નજીક ૩૧ મીટર ઉંચા તેમજ અદ્યતન તકનીક સાથેના લાઇટ હાઉસનું નિર્માણ કરવામાં આવ્યું છે જે દરિયાઇ માર્ગે પ્રકાશ પાડીને જહાજોનું માર્ગદર્શન કરશે. જેનું આજરોજ કેન્દ્રિય જહાજ, બંદર અને જળમાર્ગ મંત્રી સર્બાનંદ સોનોવાલના હસ્તે લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી સર્બાનંદ સોનોવાલે જણાવ્યું હતુ કે, શ્યામજી કૃષ્ણા વર્માની આ પ્રવિત્ર ભુમીને હું વંદન કરું છું. અહીંના લોકોનો વ્યવહાર મને બહુ ગમ્યો, કચ્છના લોકોએ તેમના વ્યવહાર થકી અહીંની ભવ્ય સંસ્કૃતિ અને સભ્યતાની ઝાંખી કરાવી છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના લોકોને એક તાંતણે જોડીને દરેક વર્ગને નવો ઉત્સાહ અને તાકાત આપીને તેમના નેતૃત્વમાં ઉઠીને આત્મનિર્ભર બનવા પ્રેરણા આપી છે. તેમણે ર્દઢ મનોબળ, સહયોગ અને નૂતન દિશાદર્શન થકી નોર્થઇસ્ટ જેવા અનેક પછાત ગણાતા  વિસ્તારોને  વિશ્વના નકશા પર ઊજાગર કર્યા છે. લાઇટ હાઉસની વાત કરતાં તેમણે જણાવ્યું હતુ કે આ લાઇટ હાઉસ ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે વિકસાવવામાં આવ્યું છે. આવી જ રીતે ત્રણ અન્ય વેરાવળ, દ્વારકા તેમજ ગોપનાથ લાઇટ હાઉસ નિમાર્ણધીન છે. એમ ત્રણ નવા મળી કુલ ૨૦ લાઇટ હાઉસને ટુરિસ્ટ ડેસ્ટીનેશન તરીકે ગુજરાતમાં વિકસાવવામાં આવશે. આવા લાઇટ હાઉસ થકી પ્રવાસીઓની સંખ્યામાં ઉતેરોતર વધારો થશે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના નવા-નવા પ્રકલ્પો થકી દેશ વિકાસના માર્ગે અવિરત ગતિ કરી રહ્યો છે. મંત્રી અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રિય મંત્રી દ્વારા કંડલાપોર્ટ ખાતે પણ અનેક પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યા છે જેથી વિશ્વ સાથે હરિફાઇમાં દેશનું મોટામાં મોટું બંદર ટક્કર આપી શકે તો સરહદી સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ અનેક પ્રોજેકટસ શરૂ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રીએ રિમોર્ટ દ્વારા તકતીનુ અનાવરણ કર્યુ હતું. આ ઉપરાંત  મંત્રીએ ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલની મુલાકાત લીધી હતી જ્યાં તેમણે શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિકળશને નમન કરી પુષ્પાંજલી અર્પણ કરી હતી ઉપરાંત સમગ્ર ગેલેરીનું નિદર્શન નિહાળ્યું હતું. આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન ડાયરેકટર જનરલ ઓફ લાઇટ હાઉસીંસ એન્ડ લાઇટશીપ્સ એમ.મુર્ગનંદને કર્યુ હતુ તો આભારવિધિ ડી.જી.એલ.એલ.ના રામપ્રકાશનજીએ કરી હતી. આ કાર્યક્રમમાં માંડવી-મુન્દ્રા ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, માંડવી નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઇ મહેશ્વરી, અગ્રણી સર્વ કેશવજી  રોશિયા, અનિરુધભાઇ દવે, સુરેશભાઇ, મસ્કા સરપંચ કિર્તીભાઇ ગોર, ડી.પી.ટી.ના ચેરમેન સંજય મહેતા તેમજ ડી.જી.એલ.એલ.ડેપ્યુટી ડાયરેકટર ધર્મવીર વાસ્તવ તેમજ અન્ય સ્ટાફ, એન્જીનિયર્સ તેમજ આસપાસ ગામના સરપંચ, અગ્રણી અને ગ્રામજનો તેમજ માંડવી નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.