આદિપુરના ટાગોર રોડ નજીક એક પ્લોટ પાસેથી થાંભલાની તસ્કરીનો ભેદ ખુલ્યો : ચાર ઇસમો પકડાયા

આદિપુરના વોર્ડ-એમાં ટાગોર રોડ નજીક એક પ્લોટ પાસેથી થયેલી રૂ. 1,02,000ની તસ્કરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. આ બનાવમાં ચાર ઇસમોની અટક કરી તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આદિપુરના વોર્ડ-3-એમાં આવેલા એક પ્લોટ પાસેથી તસ્કરીનો આ બનાવ બન્યો હતો. થોડા દિવસ અગાઉ અહીં રહેલા જાહેરાતના બોર્ડ માટેના 25 નાના-મોટા લોખંડના થાંભલા તસ્કરી જવાયા હતા. રૂ. 1,02,000ની આ તસ્કરી અંગે પ્રવિણસિંહ ઝાલાએ પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવી હતી. જેના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી ભારતનગરના મહેશ ઉર્ફે ભાનુ વેલજી ભાનુશાલી, કાર્ગોના અમિત ગૌરવ ચૌધરી, મીઠીરોહરના નવીન રામજી ચૌધરી તથા તુણા વંડીના જુસબ ઉર્ફે મામો’ હુસેન બુચડ નામના ઇસમોને ઝડપી પાડયા હતા. ગાંધીધામ જીઆઇડીસીમાં આવેલા ભંગારના એક વાડા બહાર આ ચોરાઉ થાંભલા રાખવામાં આવ્યા હતા. ત્યાંથી વાહનમાં ભરી આ ઇસમો અંજાર ખાતે વેંચવા જઇ રહ્યા હતા. આ ઇસમો આદિપુરના જુમાપીર ફાટક પાસેથી જવાના છે તેવી પૂર્વ બાતમીના આધારે પોલીસે તેમને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આ ચાર ઇસમો પાસેથી રૂ. 1,02,000ના 25 થાંભલા કબ્જે કરવામાં આવ્યા હતા. આ ઇસમોએ તસ્કરીના અન્ય કોઇ બનાવને અંજામ આપ્યો છે. તેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.