નખત્રાણાના મણિનગર વિસ્તારમાં બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા

નખત્રાણાના મણિનગર વિસ્તારમાં નવી લાઈનમાં આવેલા બંધ મકાનનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા. ઘરમાં કપડાં તેમજ સામાન વેરવિખેર કર્યા હતા. પણ કાઈ હાથ લાગ્યું ન હતું. જેથી તસ્કરો પાણીના ટાંકાના લોખંડનું ઢાંકણું અને ઘરની બહારનો લોખંડનો નાનો ગેટ ઉપાડી ગયા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી નખત્રાણાના શહેરી વિસ્તારમાં નાની મોટી ચિભડ તસ્કરીઓને તસ્કરો અંજામ આપી રહ્યા છે. ઉપરા-છાપરી તસ્કરીઓના બનાવોના પ્રયાસને લઈને રહેવાસી અને વેપારીઓમાં ભારે ચિંતા વ્યાપી છે. અને આ વિસ્તારોમાં ફરતાં બિન કચ્છી ચહેરાઓની હજુ સુધી બી રોલ ભરવાની પ્રક્રિયા કરવામાં આવી નથી. ત્યારે શહેરમાં તસ્કરીની મોટી ઘટના બને તે પહેલા પોલીસએ બારાતુઓની બી રોલની પ્રક્રિયા તાત્કાલિક હાથ ધરે એવું નખત્રાણાવાસીઓ ઇચ્છી રહ્યાં છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.