રાજસ્થાનના જયપુર ખાતે માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ૪ પોલીસકર્મીઓના મૃતદેહ ભાવનગર એરપોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા

નવાપરા ખાતે આવેલ એસ.પી કચેરીએ સ્વર્ગસ્થ પોલીસ કર્મીઓને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરાયા. રાજસ્થાનના જયપુર ખાતે માર્ગ અકસ્માતમાં મોતને ભેટેલા ભાવનગરના ચાર પોલીસકર્મીઓના મૃતદેહને વિશેષ વિમાન મારફતે આજે ભાવનગર એરપોર્ટ ખાતે લાવવામાં આવ્યાં હતાં. ભાવનગર એરપોર્ટ ખાતે આ ચારેય સ્વર્ગસ્થ પોલીસકર્મીઓના અંતિમ દર્શન માટે પૂર્વ મંત્રી વિભાવરીબેન દવે, મેયર કીર્તિબાળા દાણીધારીયા, શહેર ભાજપ પ્રમુખ રાજીવભાઈ પંડ્યા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતાં. ત્યારબાદ આ સ્વર્ગસ્થ પોલીસ કર્મચારીઓના નશ્વર દેહને નવાપરા ખાતે આવેલ એસ.પી. કચેરીએ લાવવામાં આવ્યાં હતાં. જ્યાં ગાર્ડ ઓફ ઓનર સાથે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, આઇ.જી. અશોકકુમાર યાદવ, કલેકટર યોગેશ નિરગુડે, જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ સહિતના વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત રહી આ પોલીસ કર્મીઓના નશ્વર દેહને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.